ઝિનપિંગના ભારત પ્રવાસ પહેલા જનરલ ઝાઓ જાંગકીને તમામ પદ ઉપરથી હટાવાયા
નવી દિલ્હી, તા. 29 ઃ ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં સુધારા માટેની કોશિશો વચ્ચે ઝિનપિંગની સરકાર દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેના હેઠળ એક એવા અધિકારી ઉપર કાર્યવાહી કરવામાં આવી છે જેણે ભારત સામે ગલવાનમાં સંઘર્ષનો આદેશ આપ્યો હતો. માનવામાં આવે છે કે આ કદમથી ઝિનપિંગ ભારત પ્રવાસ પહેલા સંદેશ આપવાની કોશિશ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ચીની રાષ્ટ્રપતિ સાત વર્ષમાં પહેલી વખત ભારત આવી રહ્યા છે.
હકીકતમાં જનરલ ઝાઓ જાંગકીને પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા છે. ઝાઓએ 2017માં ડોકલામ અને 2020માં ગલવાન ઘાટીમાં ભારત સામે સંઘર્ષ દરમિયાન ચીની સેનાના પશ્ચિમી થિએટરની કમાન સંભાળી હતી. ઝાઓએ ભારત વિરૂદ્ધ ગલવાન ઓપરેશન ચલાવ્યું હતું. ઝાઓને ચીની પીપલ્સ પોલિટિકલ કંસલ્ટેટિવ કોન્ફ્રેન્સના સભ્યપદમાંથી પણ હટાવી દેવાયા છે સાથે જ બે અન્ય પદ ઉપરથી મુક્ત કરાયા છે.
જો કે ચીન તરફથી ઝાઓને હટાવવાનું કોઈ કારણ બતાવ્યું નથી અને તપાસની ઘોષણા થઈ નથી. રિપોર્ટ અનુસાર ઝાઓ ઉપરાંત જનરલ ઝાંગ યોક્સિયા અને લિયૂ ઝેનલીને કેન્દ્રીય સૈન્ય આયોગમાંથી હટાવાયા છે. અનુશાસનમાં ગંભીર બેદકારી અને કાયદાના ઉલ્લંઘનની તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. કહેવાય છે કે ચીની સેનામાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચાલી રહ્યું છે અને આ અભિયાન હેઠળ જ ફરી એક વખત કાર્યવાહી કરવામાં આવી છે.