બુધવારનાં પૂરમાં તિબેટ સીમાએ બની ગયેલું નવું સરોવર ફાટયું : રેસ્ક્યૂ ઓપરેશનમાં અવરોધ : મૃત્યુઆંક વધીને 587, 1924 લાપતા
નવી
દિલ્હી, તા.28: નેપાળમાં બુધવારે આવેલા પ્રલયકારી પૂરે આખા દેશમાં ભારે તબાહી અને ખાનાખરાબી
સર્જી દીધી છે. મૃત્યુઆંક ભયાનક ઝડપે વધીને 587 થઈ ગયો છે. કુલ 1924 લોકો લાપતા છે,
જેમાં 320 ભારતીયો સામેલ છે. આ પ્રાકૃતિક આફત પછી બચાવ-રાહતકાર્ય યુદ્ધનાં ધોરણે ચલાવવામાં
આવી રહ્યાં છે પણ તિબેટ સીમાએ ફરીથી બેરિયર લેક ફાટતા નેપાળને પડયાં ઉપર પાટું જેવી
કફોડી સ્થિતિમાં મૂકાઈ જવું પડયું છે. નેપાળમાં આવેલા પૂરનાં કારણે 400 જેટલા ભારતીય
ચીન તરફ અટવાઈ ગયા હોવાનું જાણવા મળે છે. જો કે એ તમામ સલામત છે અને પોતાનાં પરિવારોનાં
સંપર્કમાં પણ હોવાનું વિદેશ મંત્રાલયે જાહેર કર્યુ છે. નેપાળ-ચીન સીમાએ આવેલા રસુવા જિલ્લામાં બનેલા બેરિયર તળાવનો પાળો તૂટી ગયા બાદ પાણીનું સ્તર સતત વધી
રહ્યું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને બચાવ માટે સાવચેતીનાં પગલાઓ લેવાઈ રહ્યાં
છે. સરોવરનો પાળો તૂટી ગયા બાદ પાણી તેજ ગતિને વછૂટવાની આશંકાને પગલે નીચાણવાળા વિસ્તારોમાં
પૂરનો ખતરો પેદા થઈ ગયો છે. ફરીથી પૂરનાં ખતરાને ધ્યાને રાખીને જોખમી વિસ્તારોને ખાલી
કરાવવામાં આવી રહ્યાં છે.
ચીને
આજે તિબેટ-નેપાળ સીમાએ ચલાવવામાં આવતાં બચાવ અભિયાનને અચાનક રોકી દીધું હતું. અહીં
એક બેરિયર લેકમાં જળસ્તર વધતા ફરીથી પૂરનો ખતરો પેદા થઈ ગયો છે. જેનાં કારણે બચાવદળને
પરત બોલાવી લેવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો. ચીને ગુરુવારે ચેતવણી આપી હતી કે, બુધવારનાં
પૂર પછી ભોટે કોશી નદી ઉપર ભૂસ્ખલનથી પેદા થયેલા અવરોધનાં કારણે એક તળાવ બની ગયું છે.
આ બેરિયર લેક પણ ઓવરોફ્લો થવા લાગ્યું હતું અને તેમાં પણ મોટું ભગદાળું પડતાં પૂરનો
ખતરો ઉભો થઈ ગયો હતો.
છેલ્લે
મળતાં અહેવાલો અનુસાર નેપાળમાં અત્યાર સુધીમાં સત્તાવાર મૃત્યુઆંક 47પ થઈ ગયો છે. જ્યારે
667 લોકો હજી પણ લાપતા છે. લાપતા લોકોમાં 127 જેટલા નેપાળી નાગરિકો સામેલ હોવાનું કહેવામાં
આવે છે. જ્યારે તિબેટમાં 558 લોકો લાપતા હોવાનું સરકારી મીડિયામાં જાહેર થયું હતું.
આમાં 260 જેટલા વિદેશી નાગરિકો હોવાનું કહેવામાં આવ્યું હતું.
પૂરનાં
ત્રીજા દિવસે ભોટે કોશી-ત્રિશૂલી-નારાયણી નદી કાંઠે વસેલા ગામ-કસબા અને ટૂરિસ્ટ કેમ્માં
ફસાયેલા લોકોને શોધવા અને બચાવવાનાં ઓપરેશન પણ યુદ્ધનાં ધોરણે ચલાવવામાં આવી રહ્યાં
છે. જો કે ફરીથી પૂરનાં જોખમે રેસ્ક્યૂ ઓપરેશનને વધુ મુશ્કેલ બનાવી દીધા છે.
પૂર
વચ્ચે ભૂકંપ : નેપાળમાં ફફડાટ
વિનાશક પૂરથી કણસતા નેપાળને હચમચાવતા ઘટનાક્રમો અટકવાનું
નામ લેતા ન હોય તેમ એક પછી એક નવા ખતરા ઉભા થતાં જાય છે. આમાં ગુરુવારની મોડી રાતે
નેપાળમાં ભૂકંપનાં ઝટકા અનુભવાતા ફફડાટ ફેલાઈ ગયો હતો. રિક્ટર સ્કેલ ઉપર આની તીવ્રતા
3.2 આંકવામાં આવી હતી. ભૂકંપનાં આચકા વધુ શક્તિશાળી ન હતાં પણ આનાંથી ભયનો ભૂકંપ જરૂર
પેદા થઈ ગયો હતો.