ભાવનગર, તા.27 ઃ ભાવનગરના ચકાચારી નકલી દારૂ કાંડમાં 13 લોકોના મૃત્યુ બાદ સ્ટેટ મોનિટારિંગ સેલ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં અગાઉ 27 આરોપીઓને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. આ આરોપીઓની પૂછપરછ દરમિયાન ભચાઉના ઈશ્વરભા ગઢવીનું નામ સામે આવતાં એસએમસીએ તેની ધરપકડ કરી હતી. ઈશ્વરભાને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આરોપીની પૂછપરછમાં લઠ્ઠાકાંડમાં તેની ભૂમિકા, અન્ય આરોપીઓ સાથેના સંપર્કો તથા ઝેરી દારૂના નેટવર્ક સાથેની કડી અંગે વિગતો મેળવવા તપાસ હાથ ધરાઈ હતી. ઈશ્વરભા ગઢવીની ધરપકડ સાથે લઠ્ઠાકાંડમાં ઝડપાયેલા આરોપીઓનો આંકડો હવે 28 પર પહોંચ્યો હતો.