• સોમવાર, 18 મે, 2026

સિંધુ સંધિ : લવાદનાં ફેંસલાને ભારતે ફગાવ્યો

મધ્યસ્થતા અદાલતની રચના જ ગેરકાયદેસર, તેનાં ફેંસલાનું શું ઉપજણ? : ભારત સિંધુ જળ સંધિ સ્થગિત રાખવા મુદ્દે અડગ

નવીદિલ્હી,તા.17: સિંધુ જળ સંધિ મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર તનાવ વધી ગયો છે. આ મુદ્દે હેગ સ્થિત તથાકથિત આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા અદાલતનાં નવા ફેંસલાને ભારતે સદંતર ફગાવી દીધો છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આ અદાલત જ અવૈધ રીતે રચાયેલી છે અને તેનું કોઈ જ કાનૂની અસ્તિત્વ નથી. તેથી તેનો કોઈપણ ફેંસલો, આદેશ કે પછી કાર્યવાહીને ભારત માન્યતા આપતું નથી. સિંધુ જળ સંધિને સ્થગિત રાખવાનાં ફેંસલા ઉપર ભારત અડગ છે.

વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ગેરકાયદે બનેલી તથાકથિત કોર્ટ ઓફ આર્બિટ્રેશને 1પમી મે  2026નાં રોજ જળ સંધિ હેઠળ સિંધુનાં મહત્તમ જળ ભંડારણ ક્ષમતા સાથે જોડાયેલા એક કેસમાં ફેંસલો આપ્યો છે. ભારત આવા ફેંસલાને એવી જ રીતે ખારિજ કરે છે જેવી રીતે ગેરકાયદે રચાયેલી અદાલતનાં અગાઉનાં તમામ નિર્ણયોને નકારવામાં આવ્યા હતાં. જયસ્વાલે જણાવ્યું હતું કે, ભારતે આવી કોઈ અદાલતની રચનાને માન્યતા આપેલી નથી. આવી અદાલતનાં ફેંસલાનું કોઈ કાયદાકીય મહત્વન નથી અને તે અમાન્ય છે.

ભારતે ગત વર્ષે પહલગામ આતંકવાદી હુમલા બાદ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પોતાનાં સંપ્રભુ અધિકારોનો ઉપયોગ કરીને સિંધુ સંધિ સ્થગિત કરી દીધી હતી. ભારતનું કહેવું છે કે, પાકિસ્તાન જ્યાં સુધી આતંકવાદને કાયમી ધોરણે સમર્થન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી આ સંધિ સ્થગિત રહેશે. ભારત પોતાનાં આ નિર્ણય ઉપર અડગ છે.

ભારતે ગત વર્ષે જૂનમાં પણ સ્પષ્ટ કરી દીધું હતું કે, આ મધ્યસ્થતા અદાલતની રચના જ સ્વયં સિંધુ સંધિનાં એક ગંભીર ઉલ્લંઘન બરાબર છે. જયાં સુધી આ સંધિ સ્થગિત છે ત્યાં સુધી ભારત આ સંધિ હેઠળ કોઈપણ દાયિત્વને નિભાવવા માટે બાધ્ય નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક