• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

પાક.ના જહાજે જાણીજોઈને ભારતીય યુદ્ધજહાજને મારી હતી ટક્કર ?

રક્ષા નિષ્ણાતોનાં મતે ચીન પાસેથી ઉશ્કેરવાનાં પેંતરા શીખી રહ્યું છે પાકિસ્તાન

નવી દિલ્હી, તા.18: અરબી સમુદ્રમાં પાકિસ્તાન હવે ચીન જેવી પેંતરાબાજી કરવા માંડયું છે. તજજ્ઞોનાં મતે આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે પાકિસ્તાની જહાજ ટકરાવાની ઘટના કોઈ ચૂક નહોતી બલ્કે જાણીજોઈને આચરવામાં આવેલી કાળી કરતૂત હતી.

ઉલ્લેખનીય છે કે, મંગળવારની રાતે ઉત્તરી અરબ સાગરમાં એક પાકિસ્તાની જહાજ પીએનએસ હુણૈન ભારતીય નૌસેનાનાં કોલકતા-ક્લાસ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર યુદ્ધ જહાજની ખુબ જ નજીક આવી ગયું હતું. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાનને ચેતવણી પણ આપી હતી અને પાકિસ્તાની અધિકારીઓને તેડાવવામાં પણ આવ્યા હતાં. પાકિસ્તાન હવે ભલે આને દુર્ઘટના ગણાવવાનો પ્રયાસ કરતું હોય પણ નિષ્ણાતો કહે છે કે, પાકિસ્તાને ઈરાદપૂર્વક આ ટક્કર કરી હતી.

રક્ષા નિષ્ણાતો કહે છે કે, ઓમાનની ખાડીનથી 120 સમુદ્રી માઈલ દૂર આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં આ ઘટના કોઈ અકસ્માત ન હોઈ શકે. ચીનની જેમ પાકિસ્તાન દ્વારા આચરવામાં આવેલી આ ઉશ્કેરવાની હરકત હતી. આધુનિયક યુદ્ધ જહાજોમાં રડાર, નેવિગેશન અને કોમ્યુનિકેશન માટે આધુનિક ઉપકરણો હોય છે. જેના હિસાબે આવી દુર્ઘટનાની શક્યતા નહીવત હોય છે. આમ, પાકે. આ ઉશ્કેરવા માટે જ હરકત કરી હોવાનું અનુમાન લગાવી શકાય છે. પાકિસ્તાની નૌસેના ચીન પાસેથી ફક્ત જહાજો અને સબમરિન ખરીદી નથી રહી પણ તેની પાસેથી આવી ચાલાકીઓ શીખી પણ રહ્યું છે. દક્ષિણ ચીન સમુદ્રમાં ફિલીપીન્સ, તાઈવાન અને જાપાન સાથે ચીન આવી હરકતો અનેકવાર કરી ચૂક્યું છે.

ભારતનું યુદ્ધ જહાજ બેહદ શક્તિશાળી છે અને જો પાક.નાં જહાજને આક્રમક પ્રતિક્રિયા આપવામાં આવી હોત તો પાક.ને તેની આ પેંતરાબાજી ભારે પડી ગઈ હોત. તેનું જહાજ ભારતની પ્રતિક્રિયામાં ડૂબી પણ શક્યું હોત.

 

ઇ-પેપરના નવા શુલ્ક