વિદેશમંત્રી લાવરોવ : સંઘર્ષ
નથી ઇચ્છતા, પણ દેશની સુરક્ષા સર્વોપરી
મોસ્કો, તા. 17 : રશિયન વિદેશમંત્રી
સર્ગેઈ લાવરોવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો યુક્રેનની ધરતી પર પશ્ચિમી દેશોની
સેના મુકાશે, તો રશિયા તેને સીધાં યુદ્ધની જાહેરાત તરીકે ગણશે. યેકાટેરિનબર્ગમાં યોજાયેલા
ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ઓફ યૂથ દરમિયાન તેમણે ચેતવણી આપી હતી કે, જો યુરોપ રશિયા સામે
યુદ્ધની તૈયારીઓ કરીને હુમલો કરશે, તો તે એક અલગ અને ખૂબ જ ટૂંકું યુદ્ધ સાબિત થશે.
લાવરોવે પુનરોચ્ચાર કર્યો કે રશિયા આ સંઘર્ષમાં સામેલ થવા માગતું નથી, પરંતુ દેશની
સુરક્ષા અને અખંડિતતા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.
વાટાઘાટો અને રાજદ્વારી ઉકેલ અંગે વાત કરતાં લાવરોવે જણાવ્યું કે, મોસ્કો હંમેશાં શાંતિપૂર્ણ સમાધાન માટે તૈયાર છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા પ્રસ્તાવિત ત્રિપક્ષીય ફોર્મેટ પણ સામેલ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, સંઘર્ષના મૂળ કારણોને દૂર કરવા અને રશિયનભાષી લોકો તથા ઓર્થોડોક્સ આસ્થાના અધિકારોનું રક્ષણ કરવું એ વિશેષ લશ્કરી ઓપરેશનના સ્પષ્ટ ઉદ્દેશો છે.