• મંગળવાર, 30 એપ્રિલ, 2024

સુરત ડિંડોલી ખેતરમાંથી યુવકની હત્યા કરેલ લાશ મળી રાંદેરામાં સ્કેટિંગ ટ્રેનરનો દવા પી આપઘાત

સુરત, તા.16 (ફૂલછાબ ન્યૂઝ) : શહેરમાં દિવસેને દિવસે આપઘાત અને હત્યાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. દરમિયાન ડિંડોલી વિસ્તારના કેનાલ રોડ પર ખેતરમાંથી 35થી 40 વર્ષના અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જેથી રાહદારીએ કંટ્રોલ રૂમમાં જણાવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં આ મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, અજાણ્યા હુમલાખોરોએ યુવકને દાઢી તથા ગળાના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી તેની ઘાતકી હત્યા કરી છે. હાલ તો મૃતક યુવક કોણ છે જાણી શકાયુ નથી પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવક ઉત્તર ભારતીય અથવા તો ઓરિસ્સાનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. હાલ પોલીસે અજાણ્યા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવમાં શહેરના રાંદેરા વિસ્તારમાં રહેતા અને સ્કેટિંગના ટ્રેર ચિરાગભાઇ રમેશચંદ્ર મિત્રી (ઉં.39)એ ગત રોજ ઘરમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. વધુમાં રાંદેરા પોલીસ મથકના એએસઆઇ લીલાબેને જણાવ્યું હતું કે ચિરાગભાઇની બન્ને દીકરીઓ સૈયદપુરા ખાતે રહેતા નાની ઘરે ગઇ હતી. જેથી તેઓએ ગત રોજ પત્ની શિવાનીને પુત્રીઓને લેવા માટે પિયર મોકલી હતી. દરમિયાન ચિરાગભાઇ ઘરમાં એકલા હતા અને આ પગલું ભરી લીધું હતું. બાદમાં તેમના પત્ની પાછા ઘરે આવ્યા ત્યારે ચિરાગભાઇ ઘરમાં મૃત હાલતમાં પડેલા હતા. વધુમાં ચિરાગભાઇએ આ પગલુ ક્યા કારણસર ભર્યું છે તે હાલમાં જાણી શકાયું નથી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક