ભગુડા ગામે દર્શન કરવા દંપતી જતું’તુ: જાગધાર ગામ પાસે અકસ્માતમાં યુવાનનું મૃત્યુ
તળાજા, તા.1પ : તળાજાનાં સાંખડાસર ગામે રહેતું દંપતી બાઇક લઈને ભગુડા ગામે દર્શન કરવા નીકળ્યા બાદ પસ્વી ગામ પાસે કારે બાઇકને અડફેટે લેતા દંપતી ફંગોળાયું હતું અને ગંભીર ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં દંપતીનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે નાસી છૂટેલા કારચાલક સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, સાંખડાસર-1 ગામે રહેતા મોહનભાઈ સડથાભાઈ લાડુમોર અને સવિતાબેન મોહનભાઈ લાડુમોર નામનું દંપતી બાઇક લઈને ભગુડા ગામે મોગલ માતાજીના દર્શન કરવા જવા નીકળ્યા હતા.
દરમિયાન પસ્વી ગામ પાસેના પાદરગઢ ગામ હાઇ વે પર મોહનભાઈ બાઇક વાળતા હતા ત્યારે પાછળથી ધસી આવેલી કારે બાઇકને અડફેટે લેતા મોહનભાઈ અને સવીતાબેન ફંગોળાયા હતા અને ગંભીર ઈજા થવાથી સવીતાબેનનું ઘટના સ્થળે જ મૃત્યુ
નીપજ્યું હતું અને મોહનભાઈને હોસ્પિટલમાં ખસેડાયેલ જેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે મૃતક મોહનભાઈના નાનાભાઈ કાબાભાઈ લાડુમોરની ફરિયાદ પરથી કાર રેઢી મૂકી નાસી છૂટેલા કારચાલક સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
હીરાઘસુનો આપઘાત : શેળાવદર ગામે રહેતા જાદવ મોહિત નાગજીભાઈ નામના યુવાનનું વીજઆંચકે મૃત્યુ નીપજ્યું હતું તેમજ દેવળિયા ગામે રહેતા અજય પાંચાભાઈ મકવાણા (મોલડિયા)નામના હીરાધસુએ
ઘર પાસે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
યુવાનનું મૃત્યુ: જાગધાર ગામ પાસે અકસ્માતમાં દાઠા ગામના નિતેષ ઘનશ્યામ મકવાણા નામના યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજ્યું હતું.