જામનગર, તા. 3: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ટીંબડી ગામના વાડી વિસ્તારમાં મોડી સાંજે કરુણાંતિકા સર્જાઈ હતી. વાડીમાં કામ કરી રહેલા શ્રમિક પરિવારના માતા અને પુત્રનું વીજકરંટ લાગવાના કારણે મૃત્યુ નીપજ્યા હતા. બનાવને પગલે શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ટીંબડી ગામમાં રહેતા અને ખેતમજૂરી
કરીને ગુજરાન ચલાવતા 22 વર્ષીય ગીતાબહેન નાયક અને તેના પુત્ર રાજેશ નાયક વાડી વિસ્તારમાં
કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તે વીજકરંટની ઝપેટમાં આવી જતા ઘટનાસ્થળે બેભાન
થઈ ગયા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક બન્નેને બેભાન હાલતમાં ધ્રોલની સરકારી હોસ્પિટલ
ખાતે ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ માતા-પુત્રની તપાસ કર્યા બાદ બન્નેને મૃત જાહેર
કર્યા હતા. માતા અને પુત્રના આકસ્મિક મૃત્યુના સમાચાર મળતા જ પરિવાર ભાંગી પડયો હતો
અને હોસ્પિટલ પરિસરમાં આક્રંદ છવાઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ જોડિયા પોલીસ સ્ટેશનનો
કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પોલીસે સમગ્ર બનાવ અંગે અકસ્માત
મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ
કરી છે.