વિરમદળ
નજીક થઇ હતી હત્યા: લૂંટના ઈરાદે હત્યાની થયાનું પોલીસનું અનુમાન
ખંભાળિયા,
તા.2: ખંભાળિયાના હજામ પાડા વિસ્તારમાં રહેતા મુસ્લિમ આગેવાન તથા શાકભાજીના જથ્થા બંધ
વેપારી અને સોનાના દાગીના પહેરવાના શોખીન આરીફ ઓસમાણ લાખા (ઉં.54)ની બોથડ પદાર્થો તથા
તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. જે બનાવમાં પોલીસે એક આરોપીને ઝડપી
લીધો હતો. ખંભાળીયાના શાકભાજીના વેપારી આરીફ
લાખા સોનાના દાગીના પહેરવાના શોખીન હતા. તેઓ ગમે ત્યારે 15થી 20 લાખના દાગીના પહેરેલા
જોવા મળતા હતા. તેઓ ગત સાંજે ખંભાળીયા નજીક વિરમદળ ગામની સીમમાં મૃતક વેપારી આરીફ તેમની
વાડીએ ગયા હતા. તે સમયે કોઈએ તેને માથામાં બોથડ પદાર્થો મારીને હત્યા કરવામાં આવી હોવાની
જાણ થતાં ખંભાળિયા ડી.વાય.એસ.પી. મીત રૂદલાલ તથા પી.આઈ ખંભાળીયા સી.આર.રાણા બનાવના
સ્થળે પહોંચી મૃતદેહને પ્રથમ ખંભાળિયા હોસ્પિટલ અને બાદમાં મોડી રાત્રે જામનગર જી.જી.હોસ્પિટલમાં
ફોરેન્સિક તથા પેનલ પી.એમ. માટે મોકલવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા જિલ્લા પોલીસ વડા જયરાજાસિંહ વાળા
પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ડી.વાય.એસ.પી.
મીત રૂદલાલે લાખોના સોનાના દાગીના પહેરવાના શોખીન આ પ્રૌઢની હત્યાના સ્થળે દાગીના ન
મળતા લૂંટના ઈરાદે હત્યા થયાની આશંકા વ્યક્ત કરી હતી અને તે દિશામાં તપાસ હાથ ધરી હતી.
તેવામાં પોલીસે આ હત્યામાં સંડોવાયેલા એક આરોપી ખંભાળિયાના જ હાજા ભારમલ આસાણીને ઝડપી
લઇ હત્યા લૂંટના ઈરાદે જ કરવામાં આવી હતી કે કેમ?, અન્ય કોઈની સંડોવણી છે? તે સહિતની
દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.