PM મોદીએ GDPના આંકડા અંગે સવાલ ઉઠાવનારા ઉપર કર્યો પ્રહાર
નવી
દિલ્હી, તા. 6 : પીએમ મોદીએ ભારતીય અર્થવ્યવસ્થાના મજબૂત આંકડા અને 7.8 ટકાના જીડીપી
વૃદ્ધિ દર ઉપર સવાલ ઉઠાવનારા વિપક્ષ ઉપર સીધો પ્રહાર કર્યો હતો. શ્રીરામ કોલેજ ઓફ કોમર્સના
શતાબ્દી સમારોહમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારતને કમજોર દેશોની યાદીમાં સામેલ કરનારા
લોકો જીડીપી ઉપર શંકાઓ ઉભી કરી રહ્યા છે.
પીએમ
મોદીએ પોતાની સરકારના કાર્યકાળમાં જીડીપીની મજબૂત વૃદ્ધિ સહિત દેશમાં બનેલા સકારાત્મક
ઘટનાક્રમ ઉપર સવાલ ઉઠાવનારા આલોચકોને જન્મજાત નિરાશાવાદી અને દોષારોપણ કરનારા ગણાવ્યા
હતા. પીએમએ કહ્યું હતું કે દેશની પ્રગતિથી ચીડતા લોકો જુઠ્ઠાણાનું અભિયાન ચલાવી રહ્યા
છે જો કે અંતે સત્યની શક્તિનો વિજય થશે. પીએમ
મોદીએ કહ્યું હતું કે જે લોકો એક સમયે ભારતને નબળા પાંચ દેશની યાદીમાં રાખતા હતા તેઓ
આજે દેશની આર્થિક પ્રગતિ અને વિકાસના આંકડાને પચાવી શકતા નથી. પીએમ મોદીએ વિપક્ષી દળોની
તુલના પરિવારના નારાજ ફુવા અને કાકા સાથે કરતા કહ્યું હતું કે આ એવા લોકો છે જેને દરેક
સારી વાતમાં કમી કાઢવાની આદત છે. જેને ગ્લાસ અડધો ભરેલો ક્યારેય દેખાતો નથી.