એકબીજાનાં જહાજો ઉપર હુમલા : ઈરાને અમેરિકાનાં યુદ્ધ જહાજોને ભગાડયાનો દાવો કર્યો
નવીદિલ્હી,તા.6:
ઈરાન અને અમેરિકાનો ટકરાવ હવે ખતરનાક વળાંક ઉપર આવી ગયો છે. ઈરાનની સેના ઈસ્લામિક રિવોલ્યુશ્નરી
ગાર્ડ કોર્પ્સ(આઈઆરજીસી) દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, તેના દ્વારા અમેરિકાની
નૌસેનાનાં એક વિમાન વાહક જહાજ અને એક નેવી ડિસ્ટ્રોયરને નિશાન બનાવીને અનેક બેલિસ્ટિક
મિસાઈલો દાગવામાં આવી હતી. જો કે અમેરિકી સેનાએ ઈરાનનાં આ દાવાઓને ફગાવી દીધા હતાં.
ઈરાની
સેનાએ કહ્યું હતું કે, અમેરિકી યુદ્ધ જહાજો ઈરાનનાં જહાજોને પરેશાન કરતાં હતાં અને
સમુદ્રી નાકાબંધીમાં સામેલ પણ હતાં. આઈઆરજીસીએ દાવો કર્યો હતો કે, તેની આ મિસાઈલ સ્ટ્રાઈકમાં
અમેરિકી જહાજોને ભારે નુકસાન થયું છે. ઈરાનનાં આ હુમલાનાં પગલે અમેરિકી જહાજોને એ ક્ષેત્રમાંથી
ભાગવાની ફરજ પડી હતી.
બીજીબાજુ
અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે, તેનાં વિમાનવાહક જહાજ અને ડિસ્ટ્રોયર દ્વારા ઈરાનનાં
મિસાઈલ હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો હતો. આ હુમલામાં અમેરિકાનાં કોઈ સૈનિકો
ઘવાયા નહોતાં.
જવાબી
કાર્યવાહીમાં અમેરિકાએ ઈરાનનાં ત્રણ ઓઈલ ટેન્કરને ઉડાડી નાખ્યા હોવાનો દાવો કર્યો હતો.
આ તનાવ ચરમસીમાએ ત્યારે પહોંચી ગયો જ્યારે અમેરિકી સેંટકોમનાં કમાન્ડર એડમિરલ બ્રેડ
કૂપરને કહ્યું હતું કે, જો અમારા બે જહાજો ઉપર હુમલો કરાશે તો અમે તેની ભારે કિંમત
વસૂલાશે અને ઈરાનનાં ત્રણ જહાજો ડૂબાડી નાખવામાં આવશે.
દરમિયાન
પશ્ચિમી ઈરાનમાં ઈરાનનાં એક ઓઈલ ટેન્કરમાં ધડાકો થતાં 11 લોકોનાં મૃત્યુ થયા હતાં અને
7 ઘાયલ થયા હતાં. આ હુમલો અમેરિકા દ્વારા કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો
હતો.