• સોમવાર, 29 જૂન, 2026

વેનેઝુએલામાં ફરી 4.9નો ભૂકંપ

અત્યાર સુધીમાં 1430નાં મૃત્યુ, 68 હજારથી વધુ લાપતા : જાપાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો

નવી દિલ્હી, તા. 28 : દક્ષિણ અમેરિકાના વેનેઝુએલામાં 25 જૂનના આવેલા ભૂકંપના બે આંચકામાં હજારો જીવન પ્રભાવિત કર્યા છે. રિપોર્ટસ અનુસાર કુલ 1430 લોકોએ જીવ ગુમાવ્યાની પુષ્ટિ થઈ છે. જો કે આંકડો હજી પણ વધી શકે છે. અધિકારીઓ અનુસાર અંદાજીત 68,900 લોકો લાપતા થવાના અહેવાલ છે. તેવામાં ફરી રાજધાની કરાકાસ અને મરાકેમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ઉપરાંત જાપાનમાં પણ 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

વેનેઝુએલામાં ફરીથી 4.9ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ડર ફેલાયો હતો. હજી પણ લોકો લાપતા પરિજનોને શોધી રહ્યા છે. અલગ અલગ સ્થળોએ રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યા છે. અત્યારસુધીમાં 1430 લોકોના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ છે અને 68,900 લોકો હજી પણ  લાપતા હોવાના કારણે મૃત્યુઆંકમાં વધારો થવાની પુરી આશંકા વ્યક્ત થઈ રહી છે. કરાકાસમાં ભૂકંપના કારણે સેંકડો ઈમારતો પુરી રીતે જમીનદોસ્ત થઈ હતી. 1000 અન્ય ઈમારતોને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. સૌથી વધારે તબાહી લા ગુએરા ક્ષેત્રમાં થઈ હતી. જયાં અત્યારસુધીમાં 243 લોકોને રેસ્કયુ કરવામાં આવ્યા છે.

વેનેઝુએલા  સાથે જાપાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપના કારણે ઈવાતે અને આસપાસના પ્રાંતમાં ધરતી ધ્રુજી ઉઠી હતી. જો કે ભૂકંપથી સુનામીની કોઈ ચેતવણી જાહેર થઈ નહોતી અને જાનમાલના નુકસાનના અહેવાલ સામે આવ્યા નહોતા. ભૂસ્તરશાત્રીઓ અનુસાર ઈવાતે પાસે સવારે 7.25 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્ર જમીનની 40 કિમીની ઉંડાઈએ હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક