બે મોટા ભૂકંપમાં 3000થી વધારેને ઈજા, હજારો હજી પણ લાપતા : ભારતે શરૂ કર્યુ ઓપરેશન અસ્તાદ, સેનાની ટીમ રવાના
નવી
દિલ્હી, તા. 26 : વેનેઝુએલામાં ગુરૂવારે આવેલા બે મોટા ભૂકંપ બાદ ચારે તરફ તબાહીના
દ્રશ્યો છવાયા છે. હજારો લોકો લાપતા છે જેની તલાશ સતત કરવામાં આવી રહી છે. ઘાયલ અને
પરેશાન લોકો કાટમાળના ઢેરમાં પરિજનોને શોધી રહ્યા છે. જ્યારે સેંકડો લોકોએ પુરી રાત
પાર્કિંગ, પાર્ક અને અન્ય ખુલ્લી જગ્યાએ પસાર કરી હતી. ભૂકંપમાં અત્યાર સુધીમાં
589 જેટલા લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે અને આંકડો ઝડપથી વધી રહ્યો છે. રાહત દળ યુદ્ધના
ધોરણે બચાવ કામગીરીમાં લાગેલા છે.
અધિકારીઓના
કહેવા પ્રમાણે બુધવારે સાંજે આવેલા 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપથી ઘણા પ્રાંતમાં
ભારે નુકસાન થયું છે અને ઘણી ઈમારતો તૂટી પડી છે. આ ભૂકંપ એક સદીથી વધુ સમયનો શક્તિશાળી
ભૂકંપ હતો. અધિકારીઓએ કહ્યું હતું કે, ભૂકંપ બાદ દેશભરમાં હજારો લોકો લાપતા છે. કારાકસના
ઉત્તરમાં આવેલા લા ગુએરાના તટીય વિસ્તારમાં જાનમાલનું સૌથી વધારે નુકસાન નોંધાયું છે.
વેનેઝુએલાના
કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝે કહ્યું હતું કે ભૂકંપના કારણે ઓછામાં ઓછા
188ના મૃત્યુ થયા છે અને 1500થી વધારે લોકોને ઈજા પહોંચી છે. આ દરમિયાન વેનેઝુએલાની
મદદ માટે ઘણા દેશો કવાયત કરી રહ્યા છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું
હતું કે અમેરિકા બચાવ દળ, ચિકિત્સા સંસાધન અને માનવીય સહાયતા મોકલી રહ્યું છે. રોડ્રિગેઝે
કહ્યું હતું કે કતરથી બચાવ દળ પહોંચી ચૂક્યું છે. મેક્સિકો અને અલ સાલ્વાડોરની ટીમ
પણ પહોંચવાની હતી. ભારતે પણ દરેક સંભવ મદદ કરવાની તૈયારી બતાવી હતી.
વેનેઝુએલા
માટે ભારતે ઓપરેશન અમિસ્તાદ શરૂ કર્યું છે. આ અભિયાનના માધ્યમથી ભારતે પ્રભાવિત લોકોને
તત્કાળ તબીબી સહાય ઉપલબ્ધ કરાવવાની પહેલ કરી છે. આ માટે ભારતીય સેનાની એક વિશેષ મેડિકલ
ટીમને વેનેઝુએલા રવાના કરવામાં આવી છે. ભારતીય સેનાના 60 પેરા ફીલ્ડ હોસ્પીટલથી 41
સભ્યનું દળ વાયુસેનાના બે વિમાનમાં રવાના થયું છે. આ સાથે છ ટન ચિકિત્સા સામગ્રી પણ
સામેલ છે. આ જાણકારી વિદેશ મંત્રી એસ જયશંકરે એક પોસ્ટ મારફતે આપી હતી. કુલ 35 ટનથી
વધારે રાહત સામગ્રી, દવા અને ચિકિત્સા ઉપકરણો વેનેઝુએલા લઈ જવામાં આવ્યા છે.