• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

શરાબ નીતિ કૌભાંડ : કેજરીવાલ, સિસોદિયા સહિત 23 આરોપમુક્ત

રાઉઝ એવન્યુ કોર્ટનો ચુકાદો, સીબીઆઈ પુરાવા આપવામાં નિષ્ફળ, આરોપ પત્રમાં ખામીઓ મળી : કેજરીવાલે કહ્યુ,ં મોદી-શાહે ષડયંત્ર રચ્યું, દેશની માફી માગે : ચૂકાદા સામે સીબીઆઈની હાઈ કોર્ટમાં અપીલ

નવી દિલ્હી, તા. 27 : દિલ્હીની શરાબ નીતિ સંબંધિત મામલામાં રાઉઝ એવન્યુ કોર્ટે એક મોટો ચુકાદો આપતા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, બીઆરસીના એમએલસી કે. કવિતા સહિત તમામને આરોપોથી મુક્ત કરી દીધા છે. કોર્ટે ટિપ્પણી કરી હતી કે આરોપોને ત્યારે જ માનવામાં આવશે જ્યારે તેની સાથે પર્યાપ્ત પુરાવા હોય. જે આ કેસમાં તપાસ એજન્સી દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા નથી. આ સાથે ચાર્જશીટમાં ખામીઓની પણ વાત કરી હતી. આ ચુકાદા બાદ અરવિંદ કેજરીવાલે ભાજપ ઉપર પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહે તેમને ફસાવવા ષડયંત્ર રચ્યું હતું. બન્નેએ પૂરા દેશની માફી માગવી જોઈએ. આ બન્નેએ આમ આદમી પાર્ટીને બરબાદ કરવા ષડયંત્ર રચ્યું હતું. કોર્ટના ઓર્ડરની સાબિત થયું છે કે કેજરીવાલ અને સિસોદિયા કટ્ટર ઈમાનદાર છે. બીજી તરફ નિચલી અદાલતના ચૂકાદા સામે સીબીઆઈ દ્વારા હાઈ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે ચુકાદામાં કેજરીવાલ, સિસોદિયા સહિત તમામને પુરાવાના અભાવે મુક્ત કરતા કહ્યું હતું કે સીબીઆઈ આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ રહી છે. કેસમાં કોઈ અપરાધિક ષડયંત્ર જોવા મળતું નથી અને કોઈ વિશ્વસનિય પુરાવા નથી. સ્પેશિયલ જજ જિતેન્દ્ર સિંહે આદેશ આપતા સીબીઆઈની કોઈપણ પુરાવા વિના કેજરીવાલ સહિતના લોકોને ફસાવવા માટે ફટકાર લગાડી હતી અને કહ્યું હતું કે વિસ્તૃત આરોપ પત્રમાં ઘણી ખામી છે, જેનું સમર્થન કોઈ નિવેદન કે સાક્ષીથી થતું નથી.

આ ચુકાદા બાદ અરવિંદ કેજરીવાલ ભાવુક થયા હતા અને કહ્યું હતું કે તેમની સામેનો કેસ ફર્જી હતો. જેનો હેતુ તેમની અને પાર્ટીની છબી ખરડવાનો હતો. કેજરીવાલે કહ્યું હતું કે પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે રાજનીતિક ષડયંત્ર રચ્યું હતું. આ લોકતંત્ર માટે ચિંતાની વાત છે. પીએમ મોદી અને શાહે આ મામલે દેશની માફી માગવી જોઈએ. આ મામલે હવે સીબીઆઈએ ચુકાદાને પડકારવા માટે દિલ્હી હાઈ કોર્ટ જવાનો નિર્ણય કરી લીધો છે. સુનાવણી દરમિયાન સીબીઆઈએ દાવો કર્યો હતો કે પહેલી ચાર્જશીટ અને પુરક આરોપ પત્રમાં સાજીશના પર્યાપ્ત પુરાવા છે. સીબીઆઈએ ટ્રાયલકોર્ટના ચુકાદા ઉપર સવાલ કરતા કહ્યું હતું કે તપાસના મહત્વના મુદ્દાને નજરઅંદાજ કરવામાં આવ્યા છે.

કાનૂની પ્રક્રિયા પૂરી થઈ નથી : કેજરીવાલ ઉપર ભાજપનો પ્રહાર

નવી દિલ્હી, તા. 27 : દિલ્હીના કથિત શરાબ કૌભાંડ મામલે આપના સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળફી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત તમામ 23 આરોપીને મુક્ત કર્યા છે. આ ચુકાદાથી આમ આદમી પાર્ટીમાં ખુશી છે. તો બીજી તરફ ભાજપ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે કે કાનૂની પ્રક્રિયા હજી પૂરી થઈ નથી. ભાજપ નેતાઓએ ભાર મૂકીને કહ્યું હતું કે આ મામલે હજી પણ ન્યાયીક તપાસનો સામનો કરવો પડશે. ભાજપ (જુઓ પાનું 10)

 

 

સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે, અદાલતે પુરાવાના અભાવે મુક્ત કર્યા છે. આ એક ટેકનિકલ મામલો છે. સીબીઆઈ આ મામલે આગળની કાર્યવાહી કરશે. પક્ષ ચુકાદાનો વિસ્તારથી અભ્યાસ કર્યા બાદ સુનિયોજીત જવાબ આપશે. ભાજપ આઈટી સેલના રાષ્ટ્રીય પ્રભારી અમિત માલવીયએ કહ્યું હતું કે દિલ્હી શરાબ કૌભાંડમાં નીચલી અદાલતે ચૂકાદો આાપ્યો છે. અગાઉ દિલ્હી હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ આ મામલે આકરા નિવેદન આપી ચૂકી છે. કાનૂની પ્રક્રિયા હજી પૂરી થઈ નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક