• રવિવાર, 18 જાન્યુઆરી, 2026

અમેરિકી દાળો પર ભારતે ડયૂટી વધારી


ચુપચાપ ટેરિફનો પલટવાર; અમેરિકી સાંસદોએ ટ્રમ્પને પત્રમાં ડયૂટી હટાવવા માંગ કરી

 

નવી દિલ્હી, તા. 17 : અમેરિકા સાથે વેપારસંધિ લાંબા સમયથી અટકેલી છે, ત્યારે એક નવો મુદ્દો આ વિવાદ વધારી શકે છે. હકીકતમાં, ભારતે અમેરિકાની દાળો પર આયાત ડયૂટી વધારી નાખી છે.

ભારતે ઝીંકેલો આ આયાત ડયૂટી વધારો ટ્રમ્પના 50 ટકા ટેરિફનો જવાબ મનાઈ રહ્યો છે. હવે ભારતનાં આ પગલાંથી વેપારસંધિ પરની વાતચીત વધુ જટિલ બની શકે છે.

અમેરિકાના એક સેનેટરે  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને દાળો પર 30 ટકા ડયૂટીને અયોગ્ય લેખાવી હતી.

ઉત્તર ડેકોટાના સેનેટર કેવિન ક્રેમરે ભારત પર આ ડયૂટી હટાવવાનું દબાણ કરવાની અપીલ ટ્રમ્પને કરી હતી.

પહેલી નવેમ્બરથી લાગુ કરાયેલો અમેરિકી દાળોની આયાત ડયૂટીનો વધારો એવો ફેંસલો હતો, જેનો ભારત સરકારે પ્રચાર કર્યો નહોતો.

ભારતનાં આ પગલાંને અમેરિકા પર ચૂપચાપ પલટવાર લેખાવી મોન્ટાનાના સાંસદ સ્ટિવ ડેન્સે પણ આ ડયૂટી હટાવવા માંગ કરી હતી.

ડકોટા અને મોન્ટાના જેવાં કૃષિપ્રધાન રાજ્યો માટે ભારતીય ફેંસલો ગંભીર લેખાવાયો હતો.

આ મુદ્દો અમેરિકા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે નોર્થ ડકોટા અને મોન્ટાના જેવા રાજ્યો વટાણા સહિત કઠોળના પાકના ટોચના બે ઉત્પાદકો છે. બીજી તરફ, ભારત આ પાકનો વિશ્વનો સૌથી મોટો ઉપભોક્તા છે, જે વિશ્વના કુલ વપરાશનો  લગભગ 27% હિસ્સો ધરાવે છે. સેનેટરોનું માનવું છે કે જો વેપારની તકો મળે તો અમેરિકન ખેડૂતો ભારતની આ માગને પહોંચી વળવા અને વિશ્વને અનાજ પૂરું પાડવા માટે સક્ષમ છે.

પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતે 30 ઓક્ટોબર, 2025ના રોજ પીળા વટાણા પર 30% ટેરિફ લગાવ્યો હતો, જે 1 નવેમ્બર, 2025થી લાગુ થયો છે. આ ઊંચા ટેરિફને કારણે, અમેરિકન કઠોળ ઉત્પાદકોને ભારતમાં તેમના ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનોની નિકાસ કરતી વખતે સ્પર્ધામાં નોંધપાત્ર નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

સેનેટરોએ ટ્રમ્પને યાદ અપાવ્યું કે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ તેમણે આ મુદ્દે પત્ર લખ્યો હતો. ત્યારે, ટ્રમ્પે 2020માં ભારત સાથેની વેપાર વાટાઘાટો દરમિયાન તે પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ આપ્યો હતો, જેનાથી અમેરિકન ઉત્પાદકોને વાટાઘાટોના ટેબલ પર સ્થાન મળ્યું હતું. સેનેટરોએ ફરી એકવાર ટ્રમ્પને વિનંતી કરી છે કે તેઓ વડાપ્રધાન મોદી સાથે આ મુદ્દા પર ભારપૂર્વક વાત કરે, કારણ કે તેનાથી અમેરિકન ઉત્પાદકો અને ભારતીય ગ્રાહકો બન્નેને ફાયદો થશે અને બન્ને દેશો વચ્ચે આર્થિક સહયોગ વધશે. 

ઇ-પેપરના નવા શુલ્ક