• શનિવાર, 24 મે, 2025

મુંબઈ અને લખનઉની નજર પ્લેઓફ ઉપર બપોરે 3.30થી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુકાબલો

નવી દિલ્હી, તા. 26 : હંમેશાંની જેમ શરૂઆતમાં નબળા પ્રદર્શન બાદ શાનદાર વાપસી કરનારી મુંબઈની ટીમ રવિવારે 27 એપ્રિલના રોજ લખનઉ સુપર જાયન્ટસ સામે ટકરાશે. સુપર સંડેના મુંબઈ અને લખનઉ વચ્ચેનો મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાવાનો છે અને બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે. મુંબઈની નજર મેચ જીતીને લય જાળવી રાખવા ઉપર રહેશે. જ્યારે લખનઉની નજર ફરીથી ટોપ-4મા જગ્યા બનાવવા ઉપર રહેશે. વર્તમાન સમયે બન્ને ટીમના એક સમાન 10 અંક છે. જો કે મુંબઈની ટીમ સારી રનરેટના આધારે ચોથા અને લખનઉની ટીમ છઠ્ઠા સ્થાને છે.

ઋષભ પંતની આગેવાનીની લખનઉની  ટીમ મેચ જીતવાની સાથે નેટ રનરેટ સુધારવા ઉપર પણ ધ્યાન આપશે કારણ કે નેટ રનરેટની ભૂમિકા આગળ જતા મહત્ત્વની બની શકે છે. લખનઉ માટે ઋષભ પંતનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય છે. તેણે અત્યારસુધીના નવ મેચમાં માત્ર 106 રન જ કર્યા છે. તેવામાં મુંબઈની મજબુત બોલિંગ સામે પંતની પરીક્ષા થશે.

મુંબઈ ટીમ ટાઈમે જ વાપસી કરી રહી છે. તેણે સતત ચાર મેચ જીતીને પ્લેઓફમા સામેલ થવાની રેસમાં નામ સૌથી આગળ  કરી દીધું છે અને હવે વિજય અભિયાન આગળ વધારવા માટે કવાયત કરવામાં આવશે.

મુંબઈના પ્રમુખ ખેલાડી રોહિત શર્મા, સુર્યકુમાર યાદવ, ટ્રેંટ બોલ્ટ અને હાર્દિક પંડયા યોગ્ય સમયે ફોર્મમાં પરત ફરી ચુક્યા છે. રોહિતે ચેન્નઈ અને હૈદરાબાદ સામે ધમાકેદાર અર્ધસદી સાથે લય મેળવી છે અને વિરોધી ટીમ માટે મોટું જોખમ બની ગયો છે.

લખનઉની વાત કરવામાં આવે તો ટીમ નિકોલસ પુરન, મિશેલ માર્શ અને એડન મારક્રમ ઉપર વધુ પડથી નિર્ભર છે. લખનઉને ફરીથી આ ત્રણેય ખેલાડીઓ પાસે શાનદાર રમતની આશા રહેશે. લખનઉ પાસે બોલિંગમાં કોઈ મોટા નામ નથી પણ બોલરોએ પરિસ્થિતિ અનુસાર બોલિંગ કરીને અત્યારસુધી મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક