દિલ્હી, યુપીમાં બેઠકોની વહેંચણી ફાઇનલ : અન્યત્ર બાકી
નવી દિલ્હી, તા.રપ : લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે દિલ્હીમાં અને સમાજવાદી પાર્ટી સાથે યુપીમાં બેઠકોની વહેંચણી અંગે ગઠબંધન સફળતાથી પાર પાડયું પરંતુ તેની મુશ્કેલીઓ હજૂ ઓછી થઈ નથી.
કોંગ્રેસ માટે મુખ્ય પડકાર પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર છે જ્યાં હજુ મમતા બેનર્જી અને શરદ પવાર સાથે બેઠકોની વહેંચણી અંગે ડીલ ફાઇનલ થઈ નથી. લોકસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે. ભાજપે પ્રચારના શ્રીગણેશ કરી નાખ્યા છે પરંતુ ઇન્ડિયા ગઠબંધને હજુ ભાજપ વિરુદ્ધ ઝૂંબેશ છેડી નથી. બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને મનાવવાનું કપરું કામ બાકી છે. મમતા બેનર્જી બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડવાનું અગાઉ એલાન કરી ચૂક્યા છે. કહેવાય છે કે અધીર રંજન ચૌધરીના નેતૃત્વવાળી રાજ્ય કોંગ્રેસે તૃણમૂલ પાસે 10 જેટલી બેઠકો માગી હતી પરંતુ મમતા માંડ બે આપવા તૈયાર હતા. અધીરે મમતા પર રોષ ઠાલવતા તેમને તકવાદી કહી દીધા હતા. મમતા બેનર્જીએ ગત મહિને કહ્યંy હતું કે કોંગ્રેસે તેના દરેક પ્રસ્તાવ ફગાવી દીધા છે. કોંગ્રેસ દ્વારા મમતા બેનર્જીને મનાવવાનો સતત પ્રયાસ કરાઈ રહ્યો છે છતાં બંગાળમાં બેઠકોની વહેંચણી મામલે ડીલ ફાઇનલ થઈ નથી. મહારાષ્ટ્રમાં પણ આ અંગે કંઈ એલાન કરાયું નથી. કોંગ્રેસ, શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેની શિવસેના વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં હોવાનું કહેવાય છે.