• સોમવાર, 02 માર્ચ, 2026

મદદ કરો : હવે પૂરતા પૈસા નથી કે નથી ઘરે પરત ફરવાની કોઈ ચોક્કસ માહિતી

ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકોના મતે અંદાજે 3000 ગુજરાતી દુબઇ અને અબુધાબીમાં ફસાયા

ગુજરાતના અંદાજે 700થી 800 લોકો મક્કામાં

રાજકોટ,તા.1 : ગઈકાલથી શરૂ થયેલા ઈરાન, ઈઝરાયલ અને અમેરિકાના યુદ્ધને કારણે વિમાન સેવા બંધ થવાની અસર દુબઈથી ભારત સુધી અનુભવાઈ રહી છે. રમઝાન માસ દરમિયાન મક્કા-મદીના ખાતે ઉમરાહની બંદગી માટે ગયેલા ગુજરાતના યાત્રાળુઓ હાલમાં યુદ્ધની ગંભીર સ્થિતિને કારણે ચિંતામાં મુકાયા છે. અનેક ગુજરાતીઓ વીડિયો સંદેશ મોકલીને ત્યાંની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી રહ્યાં છે. ગુજરાતના અંદાજે 700થી 800 લોકો મક્કામાં હાજર હોવાનું કહેવાઈ રહ્યું છે. ફ્લાઈટ રદ થતા એરપોર્ટથી પરત હોટલમાં મોકલાયા છે, પરંતુ હવે તેમની પાસે ન તો પૂરતા પૈસા છે અને ન ઘરે પરત ફરવાની કોઈ ચોક્કસ માહિતી. આખી રાત જાગીને વતનની રાહ જોતા આ યાત્રિકો સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે.

ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકો કહી રહ્યાં છે કે, અંદાજે 3000 ગુજરાતી દુબઇ અને અબુધાબીમાં ફસાયા છે. યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા 1500થી વધુ મુસાફરોએ બાકિંગ રદ્દ કર્યા છે. હોળી અને ધૂળેટીની રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો ફરવા માટે જતા હોય છે. પ્રતિ દિવસ 16થી વધુ ફલાઇટ ગુજરાત અને દુબઇ વચ્ચે કનેકાટિંગ છે. તમામ ગુજરાતીઓ હાલમાં સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

 

યુદ્ધની સ્થિતિ વચ્ચે દુબઈમાં ફસાયેલા રાજકોટના લોકોની મદદની પોકાર

પરિવારજનો વીડિયો કોલના માધ્યમથી એકબીજાના સંપર્કમાં

મારો દીકરો જયમીન છેલ્લા 10 વર્ષથી દુબઈમાં નોકરી રહી કરી રહ્યો છે. તેમના પત્ની થોડા દિવસ પહેલા ત્યાં ફરવા ગયા હતા. મારા પત્ની પણ ત્યાં જ છે. એક પિતા તરીકે તેમને ચિંતા થઈ રહી છે. હાલ પરિવારજનો વીડિયો કોલના માધ્યમથી એકબીજાના સંપર્કમાં છે.

-જયંતભાઈ ભૂપતાણી

ફ્લાઈટ બંધ છે, અહીં અમે સુરક્ષિત છીએ

પરિવારના 10 સભ્યો સાથે રાજકોટથી દુબઈ ફરવા માટે આવ્યા છીએ. માત્ર ફ્લાઈટ જ બંધ છે, જ્યારે અહીં અમે સુરક્ષિત છીએ. ભારત સરકારને વિનંતી છે કે અહીં ફસાયેલા ટૂરિસ્ટો માટે ફ્લાઇટની વ્યવસ્થા કરે.

-કૌશલ બાટવીયા

20 કિલોમીટર દૂર જ મિસાઈલ પડી

મારા પતિ કપિલભાઈ, પુત્ર પૂજન અને દીકરી કૃપા ત્રણેય દુબઈના શારજાહામાં છેલ્લા ત્રણ વર્ષથી રહે છે અને ત્યાં હોટલમાં કામ કરે છે. તેઓ જ્યાં રહે છે ત્યાંથી 20 કિલોમીટર દૂર જ મિસાઈલ પડી હોવાનું જાણવા મળ્યુ છે, જોકે હાલ ચિંતા જેવું નથી.

-લતાબેન બદીયાણી

અફવાઓ પર ભરોષો ન કરવો, દુબઈમાં ભયનો માહોલ નથી

દુબઈમાં હું ઈન્ડિયન પીપલ ફોરમ નામની સંસ્થા ચલાવું છુ. ગઈકાલે દુબઈ અને અબુધાબીમાં હુમલા થયા હતા તેમાં કોઈનો જીવ જોખમમાં નથી. અહીંની આર્મી સહિતના મહેનત કરી રહ્યાં છે,  અહીંની સારી વ્યવસ્થા એ છે કે, દરેકના ફોન ઉપર એકસાથે એલર્ટ જાય એટલે કહેવામાં આવે કે કોઈએ બહાર નીકળું નહી. એરપોર્ટ બંધ હોવાથી પ્રવાસીઓ હવે 4 માર્ચ સુધી અટવાઈ ગયા છે. દુબઈમાં ભયનો માહોલ નથી, ઓફિસીયલ સાઈટ્સ અને પેજ ઉપર ચેક કરવાથી સાચી માહિતી મળી રહે છે.

-ડો.વ્યાપ્તી જોશી

ઇ-પેપરના નવા શુલ્ક