• શનિવાર, 02 મે, 2026

ઓસ્ટ્રેલિયામાંથી 15 ભારતીયનો દેશનિકાલ

ખોટા દસ્તાવેજો અને ગુનાઈત પ્રવૃત્તિમાં સંડોવણી સહિતનાં આરોપમાં કાર્યવાહી

નવીદિલ્હી,તા.1: ઓસ્ટ્રેલિયાએ 1પ ભારતીયનો દેશનિકાલ કર્યો છે અને વિશેષ વિમાન દ્વારા આ લોકો દિલ્હીનાં ઈંદિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતાં. પ્રાપ્ત જાણકારી અનુસાર ઓસ્ટ્રેલિયાથી હાંકી કાઢવામાં આવેલા આ ભારતીય નાગરિક 25થી 45 વર્ષની વયનાં છે. જેમાં પંજાબનાં 9 લોકો ઉપરાંત હરિયાણા અને ઉત્તરાખંડનાં એક-એક અને તેલંગણનાં એક વ્યક્તિનો સમાવેશ થાય છે. 

આમાંથી 9 પંજાબનાં અને એક શખસ હૈદરાબાદનો છે. એરપોર્ટ ઉપર ઉતરતા જે તેમને પોલીસનાં હવાલે કરી દેવામાં આવ્યા હતાં. જેમાંથી 9 લોકોને પંજાબ પોલીસની ટીમ રાજ્યમાં પરત લઈ ગઈ હતી. આ તમામને અપરાધિક ગતિવિધિમાં સંડોવણી, વિઝા નિયમોનો ભંગ અને અધિકારીઓને સહયોગ નહીં આપવા સહિતનાં ગુનામાં ઓસ્ટ્રેલિયાથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ 1પમાંથી ફક્ત 2 વ્યક્તિ પાસે જ કાયદેસરનો પાસપોર્ટ હતો. બાકીનાં લોકોને ભારત પરત મોકલવા માટે પણ ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા ઈમરજન્સી પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યા હતાં. જે માત્ર એક તરફની એટલે કે વન-વે યાત્રા માટે જ માન્ય હોય છે.

આ પહેલા પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે, તપાસ કરાવવામાં આવશે કે આ લોકોનાં ખોટા દસ્તાવેજો કેવી રીતે તૈયાર થયા હતાં અને તેમને કોણે આમાં મદદ કરી હતી. વિદેશ મંત્રાલયનો પણ જરૂર પડયે સંપર્ક કરવામાં આવશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક