• રવિવાર, 27 એપ્રિલ, 2025

દક્ષિણ કોરિયાના જંગલોમાં લાગેલી આગ 24ને ભરખી ગઈ

નવી દિલ્હી, તા.26 : દક્ષિણ કોરિયામાં જંગલમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયાં હતાં  અને 19 લોકોને ઈજા પહોંચી હતી. મોટાભાગના મૃતક 60 અને 70ના વયજૂથના હતા. 23 હજારથી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

દરમ્યાન, આ પ્રચંડ આગની ચપેટમાં ઉઇસેઓંગ જિલ્લામાં આવેલું પ્રાચીન બૌદ્ધ મંદિર ‘ગાઉન્સા’ નષ્ટ થયું હતું. આ મંદિર લગભગ એક હજાર વર્ષ પહેલાં સિલ્લા રાજવંશ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. મંદિર ઉપરાંત, રાષ્ટ્રીય વારસાના રૂપમાં સમાવિષ્ટ જોસેન રાજવંશ (1392-1910) સમયનું એક બૌદ્ધ સ્થાપત્ય માળખું પણ આગમાં નાશ પામ્યું હતું. અધિકારીઓએ સમર્થન આપતાં જણાવ્યું હતું કે  આગ વિસ્તારમાં પહોંચે તે પહેલાં મંદિરમાં હાજર બૌદ્ધ ભિક્ષુઓ અને અન્ય લોકો સલામત સ્થળે ખસી ગયા હતા.  જંગલની આગના ફેલાવાને કારણે, કોરિયા હેરિટેજ સર્વિસે રાષ્ટ્રીય વારસાના સ્થળોને આગના ભયથી બચાવવા માટે તેના આપત્તિ ચેતવણી સ્તરને ’ગંભીર’ સુધી વધારી દીધું હતું. આ પહેલી વાર છે જ્યારે ચેતવણીનું સ્તર ઉચ્ચતમ સ્તર સુધી વધારવામાં આવ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક