ડોલ્ફિન વાવાઝોડું ચીનના કાંઠે ત્રાટક્યું ઃ ભારતમાં ચોમાસાં પર અસર પડી શકે
નવી દિલ્હી, તા. 10 ઃ પશ્ચિમી પ્રશાંત (પેસિફિક) મહાસાગરમાં હાલમાં એકસાથે અનેક ટ્રોપિકલ ચક્રવાત સક્રિય થતાં ભારે વિનાશક સ્થિતિ સર્જાઈ છે. ડોલ્ફિન વાવાઝોડું ચીનના પૂર્વ કિનારે ત્રાટક્યું છે, જ્યારે ટ્રોપિકલ ચક્રવાત ચાન-હોમ્ જાપાન તરફ આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત મારિયાના ટાપુઓ આસપાસ વધુ ત્રણ ચક્રવાતી સિસ્ટમ ફરતી થઈ છે. સ્થાનિક સ્તરે જળબંબાકાર અને તારાજી સર્જવાની સાથે આ પરિસ્થિતિ ભારતનાં ચોમાસાં પર પણ પરોક્ષ અસર પાડી શકે છે.
ડોલ્ફિન વાવાઝોડું આ વર્ષે ચીનમાં ત્રાટકેલું સૌથી શક્તિશાળી ચક્રવાત સાબિત થયું છે. નવમી ઓગસ્ટના સાંજે 5ઃ30 વાગ્યે ઝેજિયાંગ પ્રાંતના યુહુઆન નજીક 150-151 કિમી/કલાકની ઝડપે પવન સાથે તેણે લેન્ડફોલ કર્યો હતો, જે કેટેગરી-1 વાવાઝોડા સમકક્ષ હતું. ત્યારબાદ તેણે વેન્ઝોઉ નજીક બીજો લેન્ડફોલ કર્યો હતો. આ અગાઉ જાપાનના ઓકિનાવામાં આ તોફાને ભારે નુકસાન પહોંચાડÎું હતું.
પશ્ચિમ ઉત્તર પેસિફિકમાં સક્રિય આ તોફાનો સીધા ભારત તરફ નથી આવી રહ્યા, પરંતુ વાતાવરણીય પરિભ્રમણ દ્વારા ભારતીય ચોમાસાંને અસર કરી શકે છે. શક્તિશાળી વાવાઝોડા પૂર્વ તરફ ભેજ ખેંચી લે છે, જેનાથી ભારતીય ઉપખંડ સુધી પહોંચતા ભેજમાં ઘટાડો થાય છે.
આ પરિસ્થિતિ બંગાળની ખાડીમાં નવા નીચા દબાણ કે ડિપ્રેશન બનવામાં અવરોધ ઊભો કરી શકે છે. મધ્ય, પૂર્વ અને ઉત્તર ભારતમાં વરસાદ લાવતી સિસ્ટમ સુસ્ત પડતાં ચોમાસું નબળું પડી શકે છે અથવા અમુક સમય માટે વિરામ લઈ શકે છે.
જો કે, નિષ્ણાતોનું માનવું છે કે, આવા તોફાનો લાંબા ગાળે ચોમાસાંને નુકસાન પહોંચાડતા નથી અને કેટલીકવાર ચોમાસાંના પવનોને મજબૂત કરી પશ્ચિમ કિનારે વરસાદ વધારી પણ શકે છે. ભારતીય હવામાન વિભાગ અલ નીનો અને પેસિફિકની આ હલચલ પર નજર રાખી રહ્યું છે. આ જટિલ આબોહવાકીય ફેરફારોને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓને સતર્ક રહેવા જણાવાયું છે.