• મંગળવાર, 15 જુલાઈ, 2025

ધારાસભ્યોના રાજીનામાના રાજકીય ડ્રામાનો અંત !

- 100થી વધુ કારનો કાફલો લઈને સમર્થકો સાથે ગાંધીનગર પહોંચેલા મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ રાહ જોઈ છતાં ઈટાલિયા ન આવતાં અંતે રાજીનામું આપ્યા વગર પરત ફર્યા

 

અમદાવાદ, મોરબી તા.14 : ગુજરાતના રાજકારણ છેલ્લા એક સપ્તાહથી ગાજેલા ધારાસભ્યોના રાજીનામાના રાજકીય ડ્રામાનો આજે અંત આવ્યો હતો. 100થી વધુ કારોના કાફલા સાથે સમર્થકો સાથે ગાંધીનગર પહોંચેલા કાંતિલાલ અમૃતિયાએ બપોરે 12.30 વાગ્યા સુધી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની રાહ જોઈ હતી પરંતુ ઈટાલિયા ન આવતાં અંતે તમામ પરત ફર્યા હતાં. જો કે, આજનો દિવસ ગુજરાતના રાજકારણ માટે શરમજનક ગણવામાં આવ્યો હતો કારણ કે, છેલ્લા કેટલાક દિવસોથી એક બીજાને ચેલેન્જો આપનારા નેતાઓ અંતે પાણીમાં બેસી ગયાં હતાં.

છેલ્લા એક સપ્તાહથી સોશિયલ મીડિયા પર મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. બડાશ હાંકતા શૂરાતનભર્યા વીડિયો અપલોડ કરી રાજકારણમાં અને નાગરિકોની નજરે ચઢવાના હવાતિયા મરાતા હતા. કાંતિ અમૃતિયાએ વિસાવદર આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવાની ચેલેન્જ આપી હતી અને હારી જશે તો 2 કરોડ આપશે. અમૃતિયાની આ ચેલેન્જને ઈટાલિયાએ સ્વીકારી લીધી હતી.

દરમિયાન આજરોજ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 100થી વધુ કારના કાફલા સાથે ગાંધીનગર વિધાનસભા ખાતે પહોંચ્યા હતા. જ્યાં કાર્યકર્તાઓ સાથે શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. વિધાનસભાના પગથિયે પડાવ નાખી બપોરે 12.30 વાગ્યા સુધી અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાની રાહ જોઈ હતી પરંતુ ઈટાલિયા ન આવતાં ત્યારે બધા પરત ફર્યા હતાં. દરમિયાન આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ સ્પષ્ટ કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપવાના નથી. આમ છતાં ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા 12:30 વાગ્યા સુધી રાહ જોઇ રાજીનામાની માત્ર શો બાજી કરી છે.

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાએ ગુજરાતના રાજકારણમાં આક્રમક રાજકીય દાવપેચનું નવું સ્તર દર્શાવ્યું હતું. ધારાસભ્યોની વટની લડાઇમાં આમ જનતાનો મરો થઇ રહ્યો છે. પ્રજા વટની નહી પણ વિકાસની રાજનીતિ ઇચ્છે છે. આ સમગ્ર પ્રકરણમાં રાજ્ય સરકારના બે કેબિનેટ મંત્રીઓએ આ મુદ્દે મૌન પાળ્યું હતું. આજે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, આ ચેલેન્જની વિકાસની રાજનીતિ છે. ગુજરાતમાં ફક્ત વિકાસની રાજનીતિ ચાલે છે. રાજીનામું આપવા બાબતે સરકાર કાંતિ અમૃતિયાને શિખામણ આપવા અંગે તેઓ મૌન રહ્યાં હતાં. આ ઉપરાંત ગઈ કાલે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ પણ કહ્યું હતું કે, રાજકીય પાર્ટીના આગેવાનોએ સાચવીને નિવેદન આપવું જોઈએ.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક