ટેકનિકલ ભૂલનાં કારણે હુમલો થયાનું કહીને ઈઝરાયલે આ રક્તપાતની માફી માગી
નવીદિલ્હી, તા.13: ઇઝરાયેલી સૈન્ય
ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરી રહ્યું છે.
અત્યાર સુધીમાં 58,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જેમાંથી અડધાથી વધુ મહિલાઓ
અને બાળકો છે. છેલ્લા 24 કલાકમાં જ 139 મૃત્યુ
નોંધાયા છે. આજે ગાઝામાં એક શરણાર્થી શિબિરમાં
પાણી ભરતા બાળકો પર થયેલા મિસાઇલ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મોટાભાગના બાળકો હતા. જો કે, ઇઝરાયેલી સેનાએ આ હુમલાને ‘માનવીય દુર્ઘટના‘
ગણાવ્યો હતો અને કહ્યું હતું કે નિશાન બીજે હતું પણ ટેકનિકલ ભૂલનાં કારણે આ દુર્ઘટના
સર્જાઈ હતી.
ઈઝરાયલી દળોએ એક નિવેદનમાં કહ્યું
હતું કે, નિર્દોષ નાગરિકોનાં મૃત્યુ બદલ તે દિલગીર છે. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી
છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલામાં ઓછામાં ઓછા 8 લોકો માર્યા ગયા હતા
અને 17 ઘાયલ થયા હતા.
આ હુમલો નુસરત શરણાર્થી શિબિરમાં
પાણી વિતરણ કેન્દ્રમાં થયો હતો, જ્યાં સ્થાનિક લોકો પાણી ભરવા માટે એકઠા થયા હતા. અલ-અવદા હોસ્પિટલના ઇમરજન્સી ડૉક્ટર અહમદ અબુ સૈફાને
જણાવ્યું હતું કે હુમલામાં 6 બાળકો માર્યા ગયા હતા અને 17 અન્ય ઘાયલ થયા હતા.