• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

આફ્રિકા સામેના મુકાબલા પહેલાં ભારતીય ટીમને ઝટકો

નેટ્સ સેશન દરમિયાન મોહમ્મદ સિરાજ થયો ઈજાગ્રસ્ત

 

નવી દિલ્હી, તા. 21 : ભારતીય ટીમે અત્યારસુધીમાં આઇસીસી ટી20 વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતીય ટીમે પોતાના ચારેય ગ્રુપ મુકાબલા જીતીને ટોપમાં રહીને સુપર-8માં જગ્યા બનાવી છે. ભારતે અમેરિકા, નામીબિયા, પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે મુકાબલામાં જીત મેળવી હતી. હવે ભારતીય ટીમ સુપર-8મા દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડિઝનો સામનો કરશે.

ભારતનો પહેલો મુકાબલો 22 ફેબ્રુઆરીના રોજ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે નિર્ધારિત છે. આ મુકાબલા પહેલા ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ નેટ્સ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. જેનાથી ટીમ મેનેજમેન્ટથી ચિંતામાં વધારો થયો છે.

મોહમ્મદ સિરાજને અંતિમ સમયે સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો હતો કારણ કે હર્ષિત રાણાને ઈજા પહોંચતા તે ટૂર્નામેન્ટમાંથી બહાર થયો હતો. સિરાજે વર્તમાન ટૂર્નામેન્ટમાં માત્ર એક મેચ રમ્યો છે. જો કે ટીમ માટે તેનું ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે. રિપોર્ટ અનુસાર નેટ્સમાં સિરાજ હાર્દિક પંડયાને બોલિંગ કરી રહ્યો હતો. આ સમયે હાર્દિકનો શોટ સિરાજને ગોઠણમાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક