મુંબઇ, તા.3: કર્ણાટક સામેના 6 ફેબ્રઆરીએ રમાનાર રણજી ટ્રોફી કવાર્ટર ફાઇનલ મેચની મુંબઈ ટીમમાં ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓપનિંગ બેટર યશસ્વી જયસ્વાલનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત અનુભવી ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરની પણ મુંબઈ ટીમમાં વાપસી થઇ છે. આ બન્ને ખેલાડી રણજી ટ્રોફીના બીજા રાઉન્ડના મેચોનો હિસ્સા બન્યા ન હતા. મુંબઇ ટીમે ગ્રુપ સ્ટેજમાં 4 જીત અને 3 ડ્રો સાથે 33 પોઇન્ટ સાથે રણજી ટ્રોફીના કવાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ક્વાર્ટર ફાઇનલમાં મુંબઇની કપ્તાની ફરી શાર્દુલ ઠાકુર સંભાળશે તેવા રિપોર્ટ છે. તેની અનુપસ્થિતિમાં સિદ્ધાર્થ લાડે કપ્તાની સંભાળી હતી. તે આ સીઝનમાં પ સદી કરી ચૂક્યો છે. 2023-24માં છેલ્લે રણજી ટ્રોફી ચેમ્પિયન બનનાર મુંબઈ ટીમની નજર 43મા ખિતાબ પર છે. ક્વાર્ટર ફાઇનલમાં તેની ટક્કર કર્ણાટક સામે થવાની છે. જે ટીમ રણજી ટ્રોફીમાં 8 વખત ચેમ્પિયન બની છે. તેનો કપ્તાન દેવદત્ત પડીક્કલ જોરદાર ફોર્મમાં છે.