ગિલ અને રાહુલની અર્ધસદી : ઠાકુરે બોલિંગથી પ્લેઈંગ ઈલેવન માટે દાવેદારી ઠોકી
નવી
દિલ્હી, તા. 14 : શુભમન ગિલની આગેવાનીની ટીમ ઈન્ડિયા 20મી જૂનથી મેજબાન ઈંગ્લેન્ડ સામે
પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પહોંચી ચુકી છે
અને તૈયારીમાં લાગી છે. તૈયારી મજબૂત કરવા ભારત પાસે એકમાત્ર ઈન્ટ્રા સ્કવોડ મેચ છે.
જેનો આગાજ 13 જૂનથી બેકેનહેમમાં થઈ ચૂક્યો છે. મુકાબલો બંધ બારણે થઈ રહ્યો છે જેના
કારણે તેનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું નથી અને સ્કોરબોર્ડ સંબંધિત માહિતી પણ સામે આવી
નથી. જોકે બીસીસીઆઈએ દિવસની રમત પૂરી થયા બાદ ખેલાડીઓના પ્રદર્શનની જાણકારી આપી છે.
બીસીસીઆઈએ
એક્સ ઉપર કરેલી પોસ્ટ અનુસાર ભારત વિરૂદ્ધ ઈન્ડિયા એ ઈન્ટ્રા સ્ક્વોડ મેચના પહેલા દિવસે
બેટિંગમાં કેપ્ટન શુભમન ગિલ સાથે કેએલ રાહુલ ચમક્યો હતો. બન્નેએ અર્ધસદી કરી હતી જ્યારે
બોલિંગમાં શાર્દુલ ઠાકુરનું પ્રદર્શન સારું રહ્યું હતું. ઠાકુરે પોતાના પ્રદર્શન મારફતે
પ્લેઈંગ ઈલેવામાં સામેલ થવાની દાવેદારી નોંધાવી છે. બીસીસીઆઈએ કરેલી પોસ્ટમાં નોન સ્ટ્રાઈકર
એન્ડ ઉપર યશસ્વી જયસ્વાલ જોવા મળી રહ્યો છે. જો કે તેનો લખાણમાં કોઈ ઉલ્લેખ નથી. યશસ્વી
જયસ્વાલનો આ પહેલો ઈંગ્લેન્ડ પ્રવાસ છે. જયસ્વાલે ઈન્ડિયા એ માટે બે મેચ રમ્યા છે પણ
તેમાં ખાસ કમાલ કરી શક્યો નહોતો. શાર્દુલ ઠાકુરે
ભારત માટે અંતિમ ટેસ્ટ મેચ 2023મા દક્ષિણ આફ્રિકા પ્રવાસે રમ્યો હતો. બાદમાં ઈજાના
કારણે ટીમમાંથી બહાર રહ્યો હતો. બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે પણ ટીમમાં તેની પસંદગી
થઈ નહોતી. ઉલ્લેખનીય છે કે ગૌતમ ગંભીર ઈન્ટ્રા સ્ક્વોડ મેચમાં ભારતીય ટીમ સાથે નથી.
મેડિકલ ઈમરજન્સીના કારણે ગંભીર ટીમનો સાથ છોડીને ભારત પરત ફર્યો છે.