• રવિવાર, 15 જૂન, 2025

તુર્કીયેએ દુશ્મની કાઢી ? સાયબર એટેક થયો ?

-અમદાવાદ વિમાન દુર્ઘટના : યોગગુરુ બાબા રામદેવ અને શિવસેના-યુબીટી નેતા રાઉતે ઉઠાવ્યા સવાલ

 

નવી દિલ્હી/મુંબઈ, તા.14 : અમદાવાદની ગોજારી વિમાન દુર્ઘટનામાં હવે શંકાના વાદળો ઘેરાયા છે. એર ઈન્ડિયાનું વિમાન શા માટે અને કેવી રીતે ક્રેશ થયું ? તે અંગે દેશ-વિદેશની 8 એજન્સી તપાસમાં લાગી છે. દરમિયાન યોગગુરુ બાબા રામદેવ અને સાંસદ સંજય રાઉતે દુર્ઘટના અંગે શંકા વ્યક્ત કરી છે.

દિલ્હી ખાતે શનિવારે એક કાર્યક્રમ દરમિયાન બાબા રામદેવે અમદાવાદની વિમાન દુર્ઘટના અંગે શંકા વ્યક્ત કરી તપાસની માગ કરી હતી. તેમણે કહ્યું કે વિમાન દુર્ઘટના પાછળ એ બાબતની તપાસ થવી જોઈએ, મને જાણવા મળ્યું છે કે તુર્કીયેની કોઈ કંપની મેઈન્ટેનન્સનું કામ કરતી હતી. એવિએશન સેક્ટર પર ભારતે નજર રાખવી પડશે. તુર્કીયે એ ક્યાંક દુશ્મની તો નથી કાઢીને આ માધ્યમથી ? કારણ કે ત્યાંની એજન્સી સર્વિસ મેઈન્ટેનન્સનું કામ કરતી હતી. ક્યાંક તેણે તો કાવતરું ઘડયું ન હતું ને ?

શિવસેના-યુબીટીના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય રાઉતે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સાયબર એટેકની આશંકા દર્શાવી છે. તેમણે મુંબઈમાં એક પત્રકાર પરિષદ વખતે કહયું કે હું કોઈ ટેકનોલોજીનો નિષ્ણાત નથી પરંતુ આ દુર્ઘટના અંગે કેટલાક ગંભીર સવાલ છે. ફલાઈટ ટેકઓફના માત્ર 30 સેકન્ડમાં કેવી રીતે ક્રેશ થઈ ગઈ ? શું  આ માત્ર ટેકનીકલલ ખામી હતી કે કોઈ દુશ્મન દેશે વિમાનની ટેકનોલોજી પર સાયબર એટેક કર્યો હતો ? તાજેતરના સમયમાં ભારત પર થયેલા સાયબર એટેકને ટાંકી તેમણે અમદાવાદ વિમાન દુર્ઘટનાની સાઈબર એટેકના દૃષ્ટિકોણથી તપાસ માગી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજુલા પંથકની સગીરા ઉપર દુષ્કર્મ June 15, Sun, 2025