• રવિવાર, 15 જૂન, 2025

અમદાવાદ વિમાન દુર્ઘટના : રશિયા, કેનેડા સહિતના દેશોએ વ્યક્ત કરી સંવેદના

નવી દિલ્હી, તા. 13 : અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટના અંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટારેસ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને કેનેડાના પીએમ માર્ક કાર્ની સહિત વિશ્વભરના નેતાઓએ પ્રતિક્રિયા આપતા ભારતના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ વિમાન દુર્ઘટનામાં 242 લોકોના મૃત્યુ થયા છે. વિમાનમાં 12 ચાલક દળના સભ્યો સાથે 169 ભારતીય, 53 બ્રિટિશ, એક કેનેડીયન અને 7 પોર્ટુગલના નાગરિક સવાર હતા.

રશિયા : ક્રેમલિને નિવેદન જારી કરીને કહ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિને વિમાન દુર્ઘટના મુદ્દે ભારતીય રાષ્ટ્રપતિ મુર્મૂ અને પીએમ મોદીને સંવેદના બતાવી છે. મૃતકોના પરિવાર પ્રત્યે સહાનૂભૂતિ અને સમર્થન તેમજ ઘાયલ લોકોના ઝડપથી સ્વસ્થ થવા કામના કરી છે.

કેનેડા : કેનેડાના પીએમ માર્ક કાર્નીએ કહ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાથી સ્તબ્ધ છે. તેઓની સંવેદના વિમાનમાં સવાર તમામ લોકોના પરિજનો સાથે છે. કેનેડાના પરિવહન અધિકારી પોતાના સમકક્ષોના સંપર્કમાં છ અને તેઓ ઘટનાની નિયમિત જાણકારી લઈ રહ્યા છે.

સંયુક્ત રાષ્ટ્ર : યુનોના મહાસચિવ ગુટારેસે કહ્યું હતું કે એર ઈન્ડિયાના વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાની ખુબ જ દુ:ખી છે. તેમણે પ્રભાવિત પરિવાર અને પીડિતોના પ્રિયજન પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

યુરોપીયન યુનિયન : યુરોપીય યુનિયનના અધ્યક્ષ ઉર્સુલા વાન ડેર લેયેને સોશિયલ મીડિયા મંચ એક્સ ઉપર કહ્યું હતું કે વિમાન દુર્ઘટનાના દુ:ખદ અહેવાલ ભારતમાંથી આવ્યા છે. આ ભયાન દુર્ઘટનાના પીડિત પરિવાર અને પ્રિયજન પ્રત્યે ઉંડી સંવેદના છે. આ દુ:ખની ક્ષણમાં તેઓ ભારત સાથે છે.

યુક્રેન : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ દુર્ઘટનાને ભયાનક ગણાવી હતી અને મોદી તેમજ ભારતના તમામ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. વધુમાં કહ્યું હતું કે તેઓ પ્રાર્થના કરે છે કે ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય અને વધુમાં વધુ લોકોનો જીવ બચાવી શકાય.

અમેરિકા : ડોનાલ્ડ ટ્રમ્પે વિમાન દુર્ઘટના મુદ્દે કહ્યું હતું કે અમેરિકા જે કંઈ સંભવ છે તે બધું કરશે. વિદેશ મંત્રી માર્કો રુબિયોએ શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે દુર્ઘટનાના ઘટનાક્રમ ઉપર નજર રાખી રહ્યા છે અને અમેરિકા મદદ માટે કામ કરી રહેલા કર્મચારીઓ સાથે છે.

જર્મની : જર્મનીના વિદેશ મંત્રી જોહાન વેડફુલે કહ્યું હતું કે તેઓ વિવરણ એકત્રિત કરી રહ્યા છે. તેઓના વિચાર અને પ્રાર્થના ભારતના લોકો અને પ્રભાવિત લોકોના પ્રિયજનો સાથે છે.

 

માલદીવ : મોહમ્મદ મુઈજ્જુએ દુ:ખદ બનાવ ઉપર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે કઠીન સમયમાં માલદીવની સરકાર અને જનતા ભારતના લોકો અને સરકાર સાથે એકજુથતાથી સાથે છે.

શ્રીલંકા :શ્રીલંકન રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે કહ્યું હતું કે દુર્ઘટનાથી તેઓ દુ:ખી છે. તેમણે વિમાનમાં સવાર તમામ પ્રભાવિત લોકોના પરિવાર પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરી હતી અને શ્રીલંકા ભારતના લોકોની સાથે હોવાનું કહ્યું હતું.

નેપાળ : નેપાળના વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે નેપાળ સરકાર બનાવથી દુ:ખમાં છે અને ભારત સરકાર, ભારતના લોકો અને દુર્ઘટનામાં પ્રિયજનને ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. આ સાથે ઘાયલોના ઝડપથી સાજા થવા માટે સંવેદના વ્યક્ત કરે છે.

ઈઝરાયલ : ઈઝરાયલી પીએમ બેંજામિન નેતન્યાહુએ  કહ્યું હતું કે એર ઈન્ડિયા દુર્ઘટના અંગે જાણીને દુ:ખ થયું છે. તેઓની સંવેદના અને પ્રાર્થના પ્રભાવિત લોકો સાથે છે.

પાકિસ્તાન : પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફે એકસ ઉપર પોસ્ટ મારફતે કહ્યું હતું કે, અમદાવાદ નજીક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાથી તેઓ દુ:ખી છે. તેઓ ક્ષતિથી પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજુલા પંથકની સગીરા ઉપર દુષ્કર્મ June 15, Sun, 2025