રાહુલ
ગાંધીએ છાત્રો સાથે યોજી પત્રકાર પરિષદ : અમિત શાહને ગણાવ્યા જવાબદાર
નવી
દિલ્હી, તા.પ: પેપર લીક મુદ્દે આંદોલનમાં છાત્રો સામે થયેલી હિંસક કાર્યવાહી માટે ગૃહમંત્રી
અમિત શાહ જવાબદાર હોવાનો આરોપ લગાવીને લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીએ કહ્યું
હતું કે, આનાં હિસાબે જ તેઓ આ મુદ્દે સંસદમાં આવીને જવાબ આપી રહ્યાં નથી. જે યુવાનો
આંદોલનમાં સામેલ થયા હતાં તેમને પ્રતાડિત કરવામાં આવી રહ્યાં છે. સાથોસાથ રાહુલે ઉમેર્યુ
હતું કે, તેઓ છાત્રો સાથે જ ઉભા છે અને કોઈએ ડરવાની જરૂર નથી. રાહુલે આજે દેશનાં વિભિન્ન
ભાગોમાંથી આવેલા એવા આંદોલનકારીઓ સાથે પત્રકાર પરિષદ યોજી હતી જેમનો આરોપ છે કે, આંદોલનમાં
સક્રિય રહેવાનાં કારણે તેમને ડરાવવા, ધમકાવવામાં આવી રહ્યાં છે. મુંબઈની રિયા અહીરે
આરોપ મૂક્યો હતો કે, તેને પરેશાન કરવામાં આવી રહી છે અને તેની સામે એફઆઈઆર નોંધાઈ છે.
તેણે આગળ આરોપ લગાવ્યો હતો કે તેને ભણવા દેવાતી નથી અને માહોલ પણ સુરક્ષિત નથી. તો
ઝારખંડની નૂતને પેલેટ ગન ચલાવવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. નાગપુરનાં ભારતે આરોપ
મૂક્યો હતો કે, તેણે બર્બર કાર્યવાહીમાં ઘાયલ છાત્રોને લોહીલુહાણ હાલતમાં જોયા હતાં.