કોર્પોરેટ રોકાણ ઓછું, વિદેશી રોકાણકારો ભાગે છે : આરબીઆઇના પૂર્વ ગવર્નર
નવી દિલ્હી, તા. 12 : ભારત વિશ્વની
સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. દેશનો જીડીપી વૃદ્ધિ દર વૈશ્વિક આર્થિક કટોકટી વચ્ચે પણ 7 ટકાથી ઉપર
રહ્યો છે. જો કે, આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને આર્થિક વૃદ્ધિના આંકડાઓ પર
પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે, શું ભારતના મજબૂત આર્થિક વૃદ્ધિના આંકડા જમીની
વાસ્તવિકતાઓને સંપૂર્ણપણે પ્રતાબિંબિત કરે છે. તેમની દલીલ છે કે, ઓછું કોર્પોરેટ રોકાણ
અને ઘટતું વિદેશી રોકાણ સરકારી ડેટા સાથે સુસંગત નથી.
એક મીડિયા સાથેની મુલાકાતમાં
રાજને કહ્યું હતું કે, વૃદ્ધિના આંકડા અને વ્યાવસાયિક વર્તન વચ્ચે સતત અંતર છે. ‘મને આ સમજાતું નથી. જો અર્થતંત્ર આ ગતિએ વધી રહ્યું
હોત, તો તમે ચોક્કસપણે વધુ રોકાણની અપેક્ષા રાખશો. કંઈક ખોટું છે.’
નાણાકીય વર્ષ 2025-26માં ભારતનું
અર્થતંત્ર 7.7 ટકાના દરે વધ્યું, જે એક વર્ષ અગાઉના 7.1 ટકા હતું. રાજને કહ્યું હતું
કે, ભારતીય અર્થતંત્રમાં સૌથી મોટા વણઉકેલાયેલા પ્રશ્નોમાંનો એક કોર્પોરેટ રોકાણનો
અભાવ છે. તેમણે કહ્યું, કોર્પોરેટ રોકાણ કેમ વધ્યું નથી તે 10 વર્ષ પહેલાં પણ એક કોયડો
હતો. તે આજે પણ એક કોયડો છે. આ પ્રકારની વૃદ્ધિનો એકમાત્ર જવાબ એ છે કે, કદાચ આપણે
છેલ્લા 10 વર્ષમાં સરકારી ડેટામાં જે વૃદ્ધિ જોઈ છે તેના કરતાં ધીમી ગતિએ વિકાસ કરી
રહ્યા છીએ.
‘જ્યારે તેમને પૂછવામાં આવ્યું
કે શું તેઓ સરકારી જીડીપી ડેટા પર વિશ્વાસ કરે છે, ત્યારે આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નરએ
કહ્યું કે, કંપનીઓ દ્વારા લેવામાં આવેલા રોકાણના નિર્ણયો શંકા પેદા કરે છે કે શું આ
આંકડા આર્થિક વાસ્તવિકતાને સંપૂર્ણપણે પ્રતાબિંબિત કરે છે. તેમણે કહ્યું કે, કંપનીઓમાં
રોકાણનો અભાવ સૂચવે છે કે તેઓ આ વૃદ્ધિ આંકડાઓ જેવી માંગ જોઈ રહ્યા નથી.