નવી દિલ્હી, તા.18: સુપ્રીમ કોર્ટનાં વરિષ્ઠ ન્યાયધીશ સંજય કરોલે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી 4 નવી શ્રમ સંહિતાને દેશની શ્રમ વ્યવસ્થામાં એક યુગ પરિવર્તનકારક સુધારા ગણાવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, ભારતની વિખેરાયેલી શ્રમ પ્રણાલીને સમાવેશક અને સુસંગત માળખામાં બદલવાની દિશામાં એક મહત્વનું પગલું ગણાવ્યું હતું. આ દરમિયાન તેમણે વકીલોને કેટલીક ફિલ્મો જોવાની સલાહ પણ આપી હતી.
એક
કાર્યક્રમને સંબોધતા તેમણે હિન્દી સિનેમાએ દાયકાઓ સુધી શ્રમિકોનાં સંઘર્ષને વાચા આપી
હોવાનું કહ્યું હતું. તેમણે દો બીઘા જમીન, નયા દૌર જેવી ફિલ્મોનો ઉલ્લેખ કર્યો હતો
અને કહ્યું હતું કે, આ ફિલ્મોમાં ઔદ્યોગિકરણ અને વિસ્થાપનનાં ભયને દર્શાવવામાં આવ્યો
હતો. તેમણે દીવાર ફિલ્મનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આ ફિલ્મમાં કામદાર સંગઠનનાં કાર્યકર
સાથે થતાં દગા-કપટનાં પ્રભાવને દેખાડયો અને કાલા પથ્થરમાં કોલસાની ખાણમાં અસુરક્ષિત
સ્થિતિ અને મજૂરોની આફતને જાહેર ચર્ચાનો વિષય બનાવી દીધો હતો. આ સાથે તેમણે ચિંતા પણ
વ્યક્ત કરી હતી કે, તાજેતરનાં દાયકામાં સિનેમાનો ઝુકાવ ઉપભોક્તાવાદ અને મૂડીવાદી વાર્તાઓ
તરફ ઢળી ગયો છે અને તેમાં શ્રમિક વર્ગની કથનીઓ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે.