• શનિવાર, 24 મે, 2025

ઈસ્લામિક આતંક વિરુદ્ધ અમે ભારતની સાથે: અમેરિકા

તુલસી ગબાર્ડે કહ્યું, ઈસ્લામિક આતંકી હુમલાનાં અપરાધીઓને દબોચવામાં ભારતની મદદ કરશે અમેરિકા

વોશિંગ્ટન, તા.2પ: પહલગામમાં કાયરતાપૂર્ણ અને ક્રૂર આતંકી હુમલા પછી દુનિયાનાં તમામ મોટા દેશો ભારતની પડખે ઉભા છે અને આ દેશોનાં રાષ્ટ્રપ્રમુખો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સીધો સંપર્ક જાળવી રહ્યાં છે. આમાં અમેરિકા પણ પહાડની જેમ ભારતની ભાષામાં જ આતંકવાદ સામે હુંકાર કરી રહ્યું છે. અમેરિકાએ સ્પષ્ટ કરી દીધું છે કે, પહલગામ હુમલાનાં આતંકવાદીઓને પકડવામાં ભારતની મદદ કરવામાં આવશે. આની ઘોષણા ટ્રમ્પ પ્રશાસનમાં રાષ્ટ્રીય ગુપ્તચર વડા(ડીએનઆઈ) તુલસી ગબાર્ડે કરી છે.

ગબાર્ડે પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એક પોસ્ટમાં લખ્યું હતું કે, આ ઈસ્લામિક આતંકવાદી હુમલા બાદ અમેરિકા ભારતની સાથે છે. આ હુમલામાં 26 હિન્દુઓને નિશાન બનાવીને મારવામાં આવ્યા હતાં. તેમનાં માટે પ્રાર્થના અને સંવેદના છે. આ જઘન્ય અપરાધ માટે જવાબદાર લોકોને દબોચવામાં ભારતનું સમર્થન કરવામાં આવશે.

અમેરિકાનાં વિદેશ વિભાગનાં પ્રવક્તા ટેમી બ્રૂસે જણાવ્યું હતું કે, અમેરિકાએ પહલગામ હુમલાનાં કાવતરાખોરોને ન્યાયના કઠેડાંમાં લાવવાનું આહ્વાન કરેલું છે.

એક પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે, અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકી વિદેશમંત્રી માર્કો રુબિયોએ સ્પષ્ટ કરી દીધું છે કે, અમેરિકા ભારતની સાથે ઉભું છે અને તમામ પ્રકારનાં આતંકની આકરી નિંદા કરે છે. પાકિસ્તાની પત્રકાર દ્વારા ભારત-પાક. વચ્ચે તનાવ અંગે સવાલ કરવામાં આવતાં બ્રૂસે અરીસો દેખાડી દીધો હતો અને કહ્યું હતું કે, આ બાબતે કોઈ જ જવાબ આપવામાં નહીં આવે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ સ્પષ્ટ અભિગમ વ્યક્ત કરી ચૂક્યાં છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક