દિલ્હી એઇમ્સ બહાર રસ્તા પર દર્દીઓની
મુલાકાત લઇ, રાહુલના કેન્દ્ર-દિલ્હી સરકાર પર પ્રહાર
નવી દિલ્હી, તા. 17 : દિલ્હી
એઇમ્સ પહોંચીને ફૂટપાથ પર સૂતેલા દર્દીઓ અને તેમના પરિજનો સાથે મુલાકાત કરનાર કોંગ્રેસ
સાંસદ રાહુલ ગાંધીએ પ્રહાર કરતાં કહ્યું હતું કે, કેન્દ્ર અને દિલ્હીની સરકારો નિષ્ફળ
છે. રાહુલે તીવ્ર ઠારમાં થરથરીને પણ ઇલાજની આશા સાથે રસ્તા પર રાહ જોતા ગરીબ દર્દીઓની
તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ એવો આરોપ મૂક્યો
હતો કે, કેન્દ્ર તેમજ દિલ્હીની સરકારોમાં દર્દીઓ પ્રત્યે જરા પણ સંવેદનશીલતા નથી. સારવાર
માટે મહિનાઓથી રાહ જોતા દર્દીઓ કાતિલ ઠંડી વચ્ચે રસ્તામાં ખુલ્લામાં બેઠા છે. સરકારે
જવાબદારીથી મોઢું ફેરવી લીધું છે, તેવા પ્રહાર રાહુલે કર્યા હતા.
બીમારી, ઠંડી અને ભૂખ વચ્ચે ગરીબ
દર્દીઓ અને તેમના પરિવારના સભ્યો માત્ર સારવારની આશાના સહારે બેઠા છે. આ કરુણ સ્થિતિને
કોંગ્રેસ નેતાઓ જનતા પ્રત્યેની જવાબદારી નિભાવવામાં સરકારોની નિષ્ફળતા લેખાવી હતી.
કોંગ્રેસ પક્ષે પણ સોશિયલ મીડિયા પરથી પ્રહાર કરતાં નોંધ્યું હતું કે, એઇમ્સની બહાર
ખુલ્લામાં બેઠેલા દર્દીઓનાં દૃશ્યો સરકારોની સંવેદનહીનતાના પૂરાવા છે.