• ગુરુવાર, 02 મે, 2024

ભાવનગરમાં પુત્રને માર મારનાર યુવક પર હુમલો કરી ઘરમાં આગ લગાડી

હુમલાખોર પિતા-પુત્ર સહિત ચાર સામે નોંધાવી ફરિયાદ

ભાવનગર, તા.18: ભાવનગરમાં યુવાન ઉપર હુમલો કરી આરોપીઓએ ઘરમાં આગ લગાડી નુકસાન કર્યાનો બનાવ બનવા પામ્યો છે.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ઘોઘા રોડ પર 14 નાળા વિસ્તારમાં ઉદયવીર હનુમાનજી પાછળ મફતનગરમાં રહેતા અનિલ દિનેશ મોરી (ઉં.22)એ ગતરોજ આરોપીના પુત્રીને માર માર્યો હતો. આ વાતની દાઝ રાખી ગત રાત્રિના અનિલ સરદારનગરમાં આવેલા 50 વારિયા વિસ્તારમાં રામજી મંદિર પાસે બેઠો હોય એ દરમિયાન મના ગોહેલ તથા ગોપાલ મના તેની પાસે આવી ગાળો આપી તું મોટો ડોન થઈ ગયો છે, તેમ કહી પિતા-પુત્રએ પાઇપ-ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. દરમિયાન ગંભીર રીતે ઘવાયેલ અનિલને તેના પિતા સહિતના સભ્યો સર ટી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. એ દરમિયાન આરોપી મના ગોહેલ, ગોપાલ મનાભાઈ ગોહેલ, રાજુ મનુભાઈ ગોહેલ તથા કાજલ રાજુભાઈ મનાભાઈ ગોહેલ અનિલનાં ઘરે હથિયાર સાથે આવ્યાં હતાં અને ઘરમાં તોડફોડ કરી ઘરવખરી રાચરચિલાને કાંડી ચાંપી દેતા અનાજ, રોકડ, ઇલેક્ટ્રોનિક સામાન સહિતની ચીજવસ્તુઓ સળગીને ખાખ થઈ ગઈ હતી, આથી રૂપિયા 2 લાખની નુકસાની થઈ હતી. આ અંગે અનિલે મના ગોહેલ, ગોપાલ, રાજુ તથા કાજલ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક