• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

સાવરકુંડલા : હનીટ્રેપમાં 3 લાખની ખંડણીથી કંટાળી ખેડૂતે આપઘાત કર્યો

ખંડણી માગનાર પાંચ શખસ સામે ગુનો દાખલ

અમેરલી, તા.10 : સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે રહેતા ખેડૂત હિંમતભાઈ સુહાગીયાને હનીટ્રેપમાં ફસાવી માનસિક ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબૂર કરવાનો મામલો સામે

આવ્યો છે.

હિંમતભાઈ છેલ્લા એકાદ મહિનાથી હિના નામની મહિલા સાથે ફોન પર વાતચીત કરતા હતા. આ મહિલા અને સ્થાનિક અન્ય શખ્સોએ ભેગા મળી ખેડૂત પાસે પૈસા પડાવવાનું ગુનાહિત કાવતરું રચ્યું હતું. ગત તા. 22 ના રોજ રાત્રે હિના નામની મહિલા ખેડૂતની વાડીએ આવી હતી, તે દરમિયાન બે અજાણ્યા પુરુષો ત્યાં ધસી આવ્યા હતા અને ખેડૂતને ડરાવી-ધમકાવી રૂ.3,00,000 ની ખંડણી માંગી હતી. આ કાવતરાના ભાગરૂપે બાજુની વાડીવાળા રોહિત વેકરીયાએ વચગાળાની ભૂમિકા ભજવી રૂ.1,50,000 આપવાનું નક્કી કરાવ્યું હતું. ખેડૂતે પોતાના ઘરેથી રોકડા રૂ.80,000 લાવીને આપ્યા હતા અને બાકીની રકમ સવારે આપવાનું નક્કી થયું હતું. જોકે, આ ટોળકીના અસહ્ય માનસિક ત્રાસ અને બદનામીના ડરથી કંટાળીને ખેડૂત હિંમતભાઈએ તા. 23/5 ની રાત્રે પોતાની વાડીમાં લીમડાના ઝાડ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ અંગે મૃતકના પુત્ર પરેશભાઈએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકે હિના, રોહિત વેકરીયા, ભોળા સિંધવ અને બે અજાણ્યા પુરુષો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક