• રવિવાર, 28 એપ્રિલ, 2024

મોરબીના ઝૂલતા પુલકાંડમાં જયસુખ પટેલને શરતી જામીન: મોરબી જિલ્લામાં પ્રવેશબંધી

રહેઠાણનું સરનામું બદલે તો કોર્ટને જાણ કરવા, પાસપોર્ટ જમા કરાવવા સહિતની શરતોના આધારે મળી જેલમુક્તિ 

મોરબી, તા. 26 : મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી ઓરેવા કંપનીનાં માલિક જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપવા હુકમ કર્યો હતો, જેને પગલે આજે રેગ્યુલર જામીન અરજીની શરતો નક્કી કરવા મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી. જેમાં સરકાર અને બચાવ પક્ષે કરેલી દલીલોને ધ્યાને લઈને કોર્ટે એક લાખના શરતી જામીન મંજૂર કર્યા છે. જેમાં મોરબી જિલ્લામાં પ્રવેશબંધીની આકરી શરત પણ સામેલ છે.

ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલની રેગ્યુલર જામીન અરજીની શરતો નક્કી કરવા આજે મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી. જેમાં સરકારી વકીલે સમગ્ર ઘટનાક્રમ અંગે કોર્ટમાં જાણકારી આપી હતી તેમજ આરોપી ત્રણ માસ સુધી ફરાર રહ્યા હોવા સહિતની દલીલો રજૂકરી હતી જ્યારે બચાવ પક્ષના એડવોકેટ દ્વારા પણ દલીલો રજૂ કરવામાં આવી હતી. બન્ને પક્ષની દલીલો ધ્યાને લઈને કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા હતા. જેમાં આરોપી જયસુખ પટેલને એક લાખના જામીન લેવા, તેઓને પોતાનું રેસીડેન્સીયલ પ્રૂફ આપવું કે તેઓ ક્યાં રહે છે અને તેમાં ફેરફાર થતા કોર્ટમાં જાણ કરવાની રહેશે, સાક્ષીઓને પ્રભાવિત કરવાના કોઈ પ્રયત્ન ના કરવા, પાસપોર્ટ સરન્ડર કરવાનો રહેશે, તેઓને ભારત બહાર જવું હોય તો કોર્ટમાંથી પરવાનગી લઈને જવાનું રહેશે. સૌથી મહત્વની શરત જયસુખ પટેલ મોરબી જિલ્લાની હદમાં પ્રવેશ કરી શકશે નહીં. તેઓ કોર્ટ મુદત સિવાય મોરબી જિલ્લામાં પ્રવેશ નહીં કરી શકે અને ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી મોરબી જિલ્લાની હદ બહાર રહેવાનું રહેશે, તેમ સરકારી વકીલ વિજય જાનીએ જણાવ્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક