મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનની ટિકિટ કપાઈ
મુંબઈ, તા.ર7 : મુંબઈના ર6/11 હુમલાખોર પાકિસ્તાની આતંકવાદી કસાબને ફાંસીના માચડા સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર જાણીતા વકીલ ઉજ્જવલ નિકમને ભાજપે લોકસભા ચૂંટણીનાં મેદાનમાં ઉતારી મુંબઈ નોર્થ સેન્ટ્રલથી ટિકિટ આપી છે. જે સાથે વર્તમાન સાંસદ પૂનમ મહાજનની ટિકિટ કપાઈ છે.
લોકસભા ચૂંટણી માટે ભાજપે શનિવારે પોતાના ઉમેદવારોની 1પમી યાદી જાહેર કરી હતી જેમાં પૂનમ મહાજનની ટિકિટ કાપીને પૂર્વ સરકારી વકીલ ઉજ્જવલ નિકમને મુંબઈ ઉત્તર મધ્ય બેઠક માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ઉજ્જવલ નિકમે આતંકી કસાબનો કેસ લડયો હતો અને તેને અંજામ સુધી પહોંચાડયો હતો. કેસની સમગ્ર કાર્યવાહી દરમિયાન તેઓ સર્વત્ર છવાયેલા રહ્યા હતા. શનિવારે ભાજપની યાદી જાહેર થઈ ત્યારે આશ્ચર્ય વચ્ચે ભાજપે તેમને લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપી હતી. મુંબઈ નોર્થ સેન્ટ્રલ બેઠક પર નિકમનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર વર્ષા ગાયકવાડ સામે થશે. ર016માં પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત ઉજ્જવલ નિકમ 1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસ, ગુલસન કુમાર હત્યા કેસ, પ્રમોદ મહાજન હત્યા કેસ, ર008 મુંબઈ હુમલો, ર013 મુંબઈ ગેંગ રેપ કેસ વગેરે લડી ચૂક્યા છે.