હત્યાનો બનાવ અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો’તો હુમલાખોરોએ
જામનગર, તા.1 : જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં શાળા પાસે રહેતા ભીમસીભાઈ આંબલિયા નામના આધેડ કોન્ટ્રાક્ટર વસઈ ગામ પાસે કાર લઈને પસાર થતા હતા ત્યારે જામનગરના અયોધ્યા નગર વિસ્તારમાં રહેતા સામત કરણા વસરા, અજય ભીમસી વસરા, વજસી કરણા વસરા અને રાહુલ સામત વસરા નામના શખસો ધસી આવ્યા હતા અને કારચાલક ભીમસીભાઈને આંતરી છરી સહિતના હથિયારોથી હુમલો કરી હત્યા નિપજાવી નાખી હતી.
આ બનાવમાં હત્યારા સામત વસરાને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગેની જાણ થતા મૃતક ભીમસીભાઈના પરિવારજનો અને પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. હોસ્પિટલ ખાતે બન્ને જૂથના એકઠા થઈ જતા તંગદીલી વ્યાપી ગઈ હતી અને પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં ચારેય હત્યારાઓ દ્વારા હત્યાનો બનાવ અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસની તપાસમાં બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું હતું. પોલીસે મૃતક ભીમસીભાઈની પત્ની મંજુબેનની ફરિયાદ પરથી હત્યારા પિતા-પુત્ર સહિત ચાર શખસ સામે ગુનો નોંધ્યો હતો અને ત્રણેય શખસ ફરાર થઈ જતા શોધખોળ શરૂ કરી હતી.
પોલીસની વધુ તપાસમાં મૃતક ભીમસીભાઈના નાનાભાઈ એભાભાઈની સાત વર્ષ પહેલા હત્યા કરવામાં આવી હતી ત્યારથી બન્ને પક્ષે માથાકૂટ ચાલતી હતી. ઘવાયેલા સામત વસરાએ મૃતક ભીમસીભાઈ અને એક અજાણ્યા શખસ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી