• શુક્રવાર, 17 જુલાઈ, 2026

અષાઢના પ્રારંભે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ

રાજકોટ, તા.15: આજથી અષાઢ મહિનાની શરૂઆત થતાંની સાથે જ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી છે. ક્યાંક પવન સાથે વરસાદી ઝાપટાં પડયાં છે તો ક્યાંક વાદળછાયા વાતાવરણ વચ્ચે માત્ર અમી છાંટણા થતાં લોકો ઉકળાટથી તો ખેડૂતો વરસાદના અભાવે ચિંતામાં મુકાયા છે.

રાજકોટમાં આજે સવારે અચાનક વાતાવરણ પલટાયું હતું અને ભારે પવન ફૂંકાવા સાથે વરસાદી ઝાપટું વરસ્યું હતું. માત્ર અડધા કલાકમાં જ 6 મિમી વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.

જૂનાગઢ : વહેલી સવારે જોરદાર ઝાપટું પડી ગયું હતું, જેના કારણે રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. બપોર સુધી ઝરમરિયાં ઝાપટાં પડયા બાદ વાતાવરણ ઉઘડયું હતું.

માળિયા હાટીના: છેલ્લા 12 દિવસના લાંબા વિરામ બાદ સાંજે 7 વાગ્યે વરસાદી આગમન થયું હતું. જોકે, માત્ર પાંચ જ મિનિટ વરસાદ પડતાં રોડ-રસ્તા ભીના કરીને મેઘરાજા શાંત થઈ ગયા હતા.

જામનગર: શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ રહ્યા છે, પરંતુ નોંધપાત્ર વરસાદ ન થતાં ખેડૂતો અને શહેરીજનોમાં નિરાશા વ્યાપી છે. ગઈકાલે રાત્રે 10 વાગ્યા પછી કેટલાક વિસ્તારોમાં માત્ર સામાન્ય છાંટા પડયા હતા. આજે સવારે લાલપુર વિસ્તારમાં માત્ર 3 મીમી જેટલો વરસાદ નોંધાયો છે, તે સિવાય જિલ્લામાં ક્યાંય સારો વરસાદ થયો નથી. વરસાદ ખેંચાતા ખેડૂતો હવે આતુરતાપૂર્વક આકાશ તરફ મીટ માંડીને બેઠા છે.

ઇ-પેપરના નવા શુલ્ક