• ગુરુવાર, 28 મે, 2026

પોરબંદર પંથકના 42 લોકોની સાથે ઓસ્ટ્રીયા, જર્મની, નેધરલેન્ડના વર્ક વિઝાના નામે 42.55 લાખની છેતરપિંડી

            વડોદરાની રીધમ ઇમીગ્રેશન પેઢી ચલાવતી બે મહિલા સહિત ત્રણ શખસે ચોપડયો ચુનો

પોરબંદર,તા.27:પોરબંદર જિલ્લામાંથી વિદેશ જવાના નામે ખૂબ મોટા પાયે છેતરપિંડી થઈ રહી છે અને અસંખ્ય લોકો મરણમૂડી ગુમાવી રહ્યા છે. તેવામાં વિદેશ જવાના નામે છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોરબંદર અને જિલ્લાના 42 લોકો સાથે ઓસ્ટ્રીયા, જર્મની, નેધરલેન્ડના વર્કવિઝાના નામે 42.55 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. વડોદરાની રીધમ ઈમીગ્રેશન પેઢી ચલાવતી બે મહિલા સહિત ત્રણ ઇસમે ચૂનો ચોપડયો હોવાનું સામે આવ્યું છે. 

બગવદર પોલીસમાં અઢી મહિના પહેલા ફરિયાદ અરજી બાદ હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં કુણવદરના ટીંમડી સીમ વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા રામાભાઈ સાજણભાઈ ગોઢાણિયા નામના 51 વર્ષના આધેડે ઓસ્ટ્રીયા, નેધરલેન્ડ અને જર્મની દેશના વર્કવિઝા માટે 42 લોકો પાસેથી 42 લાખ 55 હજાર 600 રૂપિયા મેળવીને છેતરપિંડી કર્યાનો વડોદરાની કાજલ આદિત્ય જોષી, આદિત્ય જોષી અને શ્રેયા પટેલ સામે ગુનો દાખલ કરાવ્યો છે. ફરીયાદી રામાભાઈ ગોઢાણિયાએ જણાવ્યુ છે કે, બે વર્ષ પહેલા પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતી પૂજા પ્રજાપતિ મારફતે વડોદરામાં રીધમ ઈમીગ્રેશન નામની ઓફિસમાં અલગ અલગ દેશના વિઝા કઢાવી દેવાની કામગીરી કરતા કાજલ આદિત્ય જોષી, આદિત્ય જોષી અને શ્રેયા પટેલ સાથે ઓળખાણ થઇ હતી. 

નરસંગ ટેકરીના પૂજા પ્રજાપતિને જ્યોર્જિયા જવાનું હતું. તેથી  કાજલ જોષીની રીધમ ઈમીગ્રેશન મારફતે તે જ્યોર્જિયા પહોંચી ગઈ હતી. તેથી કાર્યવાહી સંતોષકારક હોવાનું ફઋરયાદીને જણાવતા તેના પુત્રો રણજીત અને ધવલને નેધરલેન્ડના વિઝા કરાવવા અંગેની કાર્યવાહી કરવાનું નક્કી થયું હતું. ડિસેમ્બર 2024માં વડોદરામાં કાજલ જોષી અને શ્રેયા પટેલની ઓફિસે રૂબરૂ મળ્યા હતા અને ડોક્યુમેન્ટની પી.ડી.એફ. મોકલવાનું કહ્યુ હતુ તથા ઓસ્ટ્રીયા મોકલી આપશું તેવી ખાત્રી આપી હતી. ઓસ્ટ્રીયાની વર્કવિઝાના ખર્ચ પેટે 5.50 લાખ રૂપિયા ભરવાના થાય છે. બે-અઢી મહિનામાં વર્કવિઝા આવી જશે અને કામ પૂરું ન થાય તો બે દિવસમાં રૂપિયા પાછા મળી જશે. એવો વિશ્વાસ આપ્યો હતો.

બાદમાં ફરિયાદીની યુ ટયુબ ચેનલ ‘અર્જુન ફેશન 777માં સબસ્કાઈબરની સંખ્યા વધુ હોવાની જાણકારી કાજલને હોવાથી તેણે ફકરયાદી મારફતે વિઝા પ્રોસેસ થયેથી એક વિઝા દીઠ કમિશન આપવાનું નક્કી થયુ હતુ. વિઝા મળી જાય અને જે તે દેશમાં એ પહોંચી જાય પછી કમિશન આપવાની વાત કરી હતી. વિઝા અંગેની પ્રોસેસ બાબતે શ્રેયા પટેલે વિગતવાર વીડિયો બનાવીને ફરિયાદીની યુટયુબ ચેનલમાં જાહેરાત આપી હતી. જેથી તા. 27-2-2025થી તા.21-4-2025 સુધી ફરિયાદીનો કોન્ટેકટ કરીને 13 લોકોએ 21 લાખ 10 હજાર રૂપિયા ફરિયાદીનો કોન્ટેકટ કરીને તેને આપ્યા હતા. બાદમાં જર્મની અને નેધરલેન્ડના વિઝા અંગે વાત કરી હતી અને વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. જેમાં પણ અનેક લોકોએ રૂપિયા આપ્યા હતા.

આમ ઓસ્ટ્રીયાના વર્કવિઝા માટે 13 લોકોના 21 લાખ 10 હજાર, જર્મનીના વર્કવિઝા માટે બે વ્યક્તિના 1 લાખ તથા નેધરલેન્ડના વર્કવિઝા માટે 28 વ્યક્તિઓના 16 લાખ 90 હજાર એમ કુલ 39 લાખ જેવી રકમ આંગડિયા પેઢી મારફત તથા નેધરલેન્ડની વર્કવિઝાની પ્રોસેસ સબબ 28 વ્યક્તિઓ પાસેથી ઓનલાઈન 1700-1700 લેખે એમ્બેસી ફી તથા વિઝા ફી 11-11 હજાર સહિત 3 લાખ 55 હજાર 600 મળી કુલ રૂ. 42 લાખ 55 હજાર 600ની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. આજાદિન સુધી વિઝા નહીં કઢાવી દઈને રીધમ ઈમીગ્રેશન નામની ઓફિસ ધરાવતી કાજલ આદિત્ય જોષી, આદિત્ય જોષી તથા શ્રેયા પટેલ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો બગવદર પોલીસમાં દાખલ થયો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક