-શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી મસ્જિદનાં સમાધાનમાં ફરી એકવાર મુસ્લિમ પક્ષ ન રહ્યો હાજર ઃ મસ્જિદ માટે જમીન આપવા
હિન્દુ પક્ષનો ઈનકાર
નવીદિલ્હી,તા.18ઃ શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી મસ્જિદ ઈદગાહ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટના નિર્દેશ હેઠળ ચાલી રહેલા સમાધાનના પ્રયાસો ફરી એકવાર નિષ્ફળ સાબિત થયા છે. મથુરાના સમાધાન કેન્દ્રમાં આજે યોજાનારી બીજી બેઠક મુસ્લિમ પક્ષની ગેરહાજરીને કારણે નિષ્ફળ ગઈ હતી. મુસ્લિમ પક્ષ હાજર ન રહેતાં કોર્ટે કેસની સુનાવણી મુલતવી રાખી છે. હવે આ મહત્વપૂર્ણ વિવાદની સીધી સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 21, 22 અને
23 ઓગસ્ટે કરવામાં આવશે.
શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ ન્યાસના અધ્યક્ષ અને હિંદુ પક્ષના વકીલ મહેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, આજે સમાધાન કેન્દ્રમાં બીજી બેઠક નક્કી કરવામાં આવી હતી પરંતુ મુસ્લિમ પક્ષ ત્યાં હાજર થયો નહોતો. આ પહેલાં 7 ઓગસ્ટે પણ બંને પક્ષો વચ્ચે વાતચીત થઈ હતી, પરંતુ તે પણ સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી.
વકીલ મહેન્દ્ર પ્રતાપ સિંહે પોતાનું વલણ કડક કરતાં સ્પષ્ટ કર્યું હતું કે, અગાઉ મુસ્લિમ પક્ષ સમક્ષ મસ્જિદ હટાવવાના બદલામાં અન્ય સ્થળે જમીન આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો પરંતુ હવે કોર્ટમાં સ્પષ્ટ કરી દેવાયું છે કે આ સમગ્ર જમીન શ્રીકૃષ્ણ જન્મભૂમિની જ છે, તેથી હવે મસ્જિદના બદલામાં કોઈ વૈકલ્પિક જમીન આપવામાં આવશે નહીં. મામલાના અન્ય એક હિંદુ પક્ષકાર દિનેશ ફલાહારીએ મુસ્લિમ પક્ષની ગેરહાજરી પર સવાલ ઉઠાવ્યા છે. ફલાહારીનો દાવો છે કે મુસ્લિમ પક્ષ પાસે આ વિવાદિત સ્થળ સાથે સંબંધિત કોઈ નક્કર દસ્તાવેજો ઉપલબ્ધ નથી. તેમનું કહેવું છે કે આ જ મુખ્ય કારણ છે કે તેઓ વારંવાર કોર્ટની કાર્યવાહી અને સમાધાનની વાતચીતથી દૂર રહી રહ્યા છે.
જોકે, દિનેશ ફલાહારીએ એ પણ ઉમેર્યુ હતું કે, તેમણે મુસ્લિમ પક્ષને મેવાતમાં જમીન આપવાનો અને નવી મસ્જિદના નિર્માણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. હવે સમાધાનની શક્યતાઓ સમાપ્ત થતી દેખાઈ રહી છે ત્યારે, સૌની નજર 21થી 23 ઓગસ્ટ
દરમિયાન સુપ્રીમ કોર્ટમાં થનારી મહત્વપૂર્ણ સુનાવણી પર ટકેલી છે.