જેમના હિત માટે રેરાની રચના કરાઈ હતી તે લોકો તો પૂરી રીતે હતાશ અને નિરાશ છે : સર્વોચ્ચ અદાલત આકરા પાણીએ
નવી
દિલ્હી, તા.13: તમામ રાજ્યો માટે રિયલ એસ્ટેટ નિયમનકારી પ્રાધિકરણ(રેરા)ની રચના અંગે
હવે પુનર્વિચાર કરવાનો યોગ્ય સમય આવી ગયો હોવાનું સર્વોચ્ચ અદાલતે કહ્યું છે. સુપ્રીમ
કોર્ટનું કહેવું છે કે, આ વ્યવસ્થા દાગી બિલ્ડરોને સુવિધા આપવા સિવાય કંઈ કરતી નથી.
દેશનાં મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીની પીઠે
કહ્યું હતું કે, જેમના હિત માટે રેરાની રચના કરાઈ હતી તે લોકો તો પૂરી રીતે હતાશ અને
નિરાશ છે.
પીઠે
ભારપૂર્વક કહ્યું કે જો આ સંસ્થાને ખમત પણ કરી દેવામાં આવે તો તેમને કોઈ વાંધો નથી.
હિમાચલ પ્રદેશ સરકારને રેરાનું કાર્યાલય પોતાની પસંદગીના સ્થળે સ્થાનાંતરિત કરવાની
મંજૂરી આપતાં પીઠે આ ટિપ્પણીઓ કરી હતી. હિમાચલ પ્રદેશ સરકાર અને અન્ય દ્વારા દાખલ કરાયેલી
અરજીમાં હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના શિમલાથી ધર્મશાલામાં રેરાનું કાર્યાલય સ્થાનાંતરિત
કરવા સંબંધિત આદેશને પડકારવામાં આવ્યો હતો, તેના પર પીઠે નોટિસ જારી કરી.
હાઈકોર્ટે
અગાઉ જૂન 2025ની રેરા કાર્યાલય સ્થળાંતર સંબંધિત સૂચના પર આગામી આદેશ સુધી રોક લગાવી
હતી. ત્યારબાદ 30 ડિસેમ્બર 2025ના પોતાના આદેશમાં હાઈકોર્ટે અંતરિમ આદેશ યથાવત રાખવાનો
નિર્દેશ આપ્યો હતો. ઉચ્ચતમ ન્યાયાલયે 30 ડિસેમ્બરનાં હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો
હતો.
સીજેઆઈ
સુનાવણી દરમિયાન ભડકી ગયા હતાં અને કહ્યું હતું કે, દાગી બિલ્ડરોને સુવિધા આપવા સિવાય
આ સંસ્થા કંઈ કરતી નથી. આ સંસ્થાને સમાપ્ત કરી દેવી વધુ સારું રહેશે, અમને તેમાં કોઈ
વાંધો નહીં આવે. હવે સમય આવી ગયો છે કે તમામ
રાજ્યોએ
આ ઓથોરિટીની રચના પર જ પુનર્વિચાર કરવો જોઈએ.