(ફૂલછાબ ન્યુઝ)
સુરત, તા.13: સુરત જિલ્લાના પલસાણાના
નેશનલ હાઈવે 48 પર અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો
હતો. જેમાં બે મહિલાના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત પણ
થયા છે. અકસ્માતને પગલે અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની
જાણ થતા પલસાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ
પલસાણાના બલેશ્વર પાટિયા નજીક આજે સવારે અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને ટક્કર મારી દેતા
ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે બાદ વાહનચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માત એટલો ભયાનક
હતો કે રિક્ષા ઊંધી વળી ગઈ હતી. એટલું જ નહીં રિક્ષાનો કચ્ચરઘાણ નીકળ્યો હતો. જેને
પગલે અકસ્માતમાં બે મહિલાના તો ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને
પણ ઈજાઓ પહોંચી હતી. જેમાંથી એકને સામાન્ય ઈજા થઈ છે. તેમને તાત્કાલીક 108 એમ્બ્યુલન્સની
મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ પલસાણા પોલીસ
અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બન્ને મહિલાના મૃતદેહોને
પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા હતા એ સાથે ટ્રાફિક પણ ક્લિયર કરાવ્યો હતો. વધુમાં જાણવા
મળ્યું કે બેમાંથી એકપણ મહિલા ગર્ભવતી હોય તેવું બહાર આવ્યું નથી. જેથી આ મામલે પોલીસે
સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાને આધારે ફરાર વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.