ઓચિંતા છોડયું જેલમનું પાણી: મુઝફ્ફરાબાદમાં ભયાનક પૂર, કટોકટી જાહેર
તરસ્યુ
મારવાનાં બદલે ડૂબાડી દેવાની અચંબિત કરતી રણનીતિથી પાક. ઉંઘતું ઝડપાયું
નવીદિલ્હી,તા.26:
પહલગામ આતંકવાદી હુમલાનાં વેરની વસૂલાતમાં સૌ પ્રથમ સિંધુ જળ સંધિ તોડીને પાકિસ્તાનને
તરસ્યુ મારી નાખવાની ધાક બેસાડી દીધા પછી ભારતે ચકમો આપતાં વોટર બોમ્બ ફોડયો છે. જેલમ
નદીમાં પાણી છોડીને પાક. કબ્જાગ્રસ્ત કાશ્મીરનાં મુઝફ્ફરાબાદમાં ભયાનક પૂરની સ્થિતિ
પેદા કરી દીધી છે. જેને પગલે સ્થાનિક પ્રશાસને કટોકટી જાહેર કરી નાખી છે. આમ, પાકિસ્તાન
ઉંઘતું ઝડપાઈ ગયું છે. સિંધુ જળ સંધિ તૂટયા પછી પાણી રોકવા માટે ભારત કોઈ કાર્યવાહી
કરે તે પહેલા જ પાણી માટે વલખા મારવા લાગેલા પાક.ને હવે પાણીમાં જ ડૂબી મરવા જેવી હાલત
પેદા થઈ ગઈ છે.
પ્રાપ્ત
અહેવાલો અનુસાર ઉરીમાં અનંતનાગ જિલ્લાથી ચકોઠીમાં પાણી ઘૂસતા જેલમ નદીમાં ઓચિંતા ભીષણ
પૂર આવી ગયું છે. જેનાં હિસાબે સ્થાનિકો ભયભીત બન્યા છે. પાકિસ્તાનનાં પ્રસાર માધ્યમોનાં
અહેવાલ અનુસાર ભારતે આજે જેલમ નદી ઉપર બનેલા તમામ ડેમનાં દરવાજા કોઈ આગોતરી જાણ કર્યા
વિના જ ખોલી નાખ્યા છે. જેને પગલે હટ્ટિયન બાલામાં ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે.
મસ્જિદોમાં ઘોષણાઓ કરીને સ્થાનિકોને સ્થળાંતરની ચેતવણીઓ જારી કરવામાં આવી રહી છે. સિંધુ
જળ સંધિ અંતર્ગત ભારત પાણીનાં વહેણને વધારવા સહિતની જાણકારીઓ પાકિસ્તાનને આપતું રહ્યું
છે. પરંતુ હવે જ્યારે ભારતે આ સંધિ તોડી નાખી છે ત્યારે ડેમનાં દરવાજા ખોલવા સહિત કોઈપણ
પ્રકારની માહિતી પાકિસ્તાનને આપવાની રહેતી ન હોવાથી પાકિસ્તાન ઉંઘતું ઝડપાઈ ગયું છે.
એકબાજુ
ભારત સરકાર પાકિસ્તાનમાં જતાં ચિનાબ, જેલમ, સતલજ, બિયાસ, રવીનાં પાણી પાકિસ્તાનમાં
જતાં રોકવાની રણનીતિ ઉપર કામ કરી રહી છે અને આવું કોઈપણ પગલું ભરવામાં આવે તો તેને
યુદ્ધની ઘોષણા માની લેવાની પાકિસ્તાનની ધમકીઓ પણ શરૂ થઈ ગઈ છે ત્યારે જ ભારતે પાક.ને
ઉંઘતું ઝડપી લીધું છે. જો કે ભારત સરકાર તરફથી આ બારામાં કોઈ અધિકૃત નિવેદન કરવામાં
આવ્યું નથી. બીજીબાજુ પાકિસ્તાનનાં પ્રસાર માધ્યમો આ પૂર માટે ભારતને જ જવાબદાર ઠરાવી
રહ્યાં છે.