-સેમિ ફાઇનલની આશા જીવંત રાખવા માટે બન્ને ટીમને જીત જરૂરી
કોલંબો,
તા.24 : સહયજમાન ટીમ શ્રીલંકાએ ટી-20 વિશ્વ કપના સેમિ ફાઇનલમાં પહોંચવાની તેની આશા
જો જીવંત રાખવી હશે તો બુધવારે રમાનાર સુપર-8ના મેચમાં હરહાલમાં ન્યુઝીલેન્ડને હાર
આપવી પડશે. કરો યા મરો સમાન આ મેચમાં લંકન બેટર્સે સ્પિન બોલર્સ સામેની રમત સુધારવી
પડશે. બીજી તરફ કિવિઝ ટીમ પણ મઝધારમાં છે. સુપર-8નો તેનો પહેલો મેચ પાકિસ્તાન સામે
હતો. જે વરસાદમાં ધોવાઈ ગયો હતો. આથી તેના ખાતામાં 1 અંક છે. શ્રીલંકા સામે મળતી હારથી
કિવિઝ ટીમ પર વિશ્વ કપની બહાર થવાનો ખતરો સર્જાશે.
પાછલા
મેચમાં પલ્લેકલેની ધીમી પિચ પર શ્રીલંકન ટીમ ઇંગ્લેન્ડના સ્પિનર્સનો સામનો કરી શકી
ન હતી અને 147 રનના લક્ષ્ય પણ હાંસલ કરી શકી ન હતી. શ્રીલંકાની પીચ ભારતની તુલનામાં
બેટધરો માટે વધુ કઠિન રહી છે.
બન્ને
ટીમ માટે સારી વાત એ છે કે બુધવારે કોલંબોમાં વરસાદની સંભાવના નથી. આથી શ્રીલંકા અને
ન્યુઝીલેન્ડ સામે પૂરી 20-20 ઓવર રમવાનો મોકો બની રહેશે. શ્રીલંકાને ફરી એકવાર તેના
ઓપનર પથૂમ નિસંકા પાસેથી મોટી ઇનિંગની આશા રહેશે જ્યારે કિવિઝ ઓપનિંગ જોડી ફિન એલન
અને ટિમ સિફર્ટ આક્રમક શરૂઆત કરવા માગશે.