વીરપુર,તા.24: વીરપુરમાં સોશિયલ મીડિયા પર બાળકો ઉઠાવતી ટોળકી સક્રિય હોવાની અને 3 થી 4 બાળકોને ઉપાડી ગયાની ખોટી અફવા ફેલાવનાર બે ઈસમોની વિરપુર પોલીસે ધરપકડ કરી
રાજકોટ
ગ્રામ્ય જિલ્લાના વીરપુર (જલારામ) પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ મીડિયાના માધ્યમથી
ખોટી અને ભ્રામક અફવા ફેલાવવાનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ગત તારીખ 23ના રોજ
કેટલાક ઈસમો દ્વારા વીરપુર ગામમાં એવી અફવા વહેતી કરવામાં આવી હતી કે, ગામમાં બાળકો
ઉઠાવી જવા વાળી ટોળકી આવી છે અને લગભગ 3 થી 4 જેટલા બાળકોને ઉઠાવી ગઈ છે. આ પ્રકારની
ખોટી અફવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે ભય અને ગભરાહટ ફેલાઈ ગયો હતો તેમજ જાહેર શાંતિ
ભંગ થવાની પૂરેપૂરી શક્યતા ઉભી થઈ હતી.
આ ઘટનાની
ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસ સ્ટાફ દ્વારા સઘન તપાસ હાથ ધરતા આ અફવા તદ્દન ખોટી
હોવાનું માલુમ પડયું હતું. ત્યારબાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સમાજમાં ડરનો માહોલ
ઉભો કરનાર બે આરોપીઓ રમેશભાઈ સવજીભાઈ વઘાસિયા (રહે. ગાયત્રી નગર, રેલ્વે સ્ટેશન રોડ,
વીરપુર) અને ધ્રુવલભાઈ દિલીપભાઈ સાદરાણી (રહે. જલારામ મંદિરની પાછળ, વીરપુર)ની અટકાયત
કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.