• મંગળવાર, 30 જૂન, 2026

રામમંદિર : ચંપત રાયનું પૂછાણું; આઠ આરોપી જેલમાં

બહુચર્ચિત પ્રકરણની તરત સુનાવણીની માંગ ફગાવતાં સુપ્રીમે પૂછ્યું, આટલી ઉતાવળ શાની છે; કોંગ્રેસ આજે વિરોધ દેખાવો કરશે

અયોધ્યા, તા. 29 : રામમંદિરમાં ચડાવાની ચોરીનાં બહુચર્ચિત પ્રકરણમાં સોમવારે તમામ આઠ આરોપીને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં મોકલી દેવાયા હતા. પૂર્વ પદાધિકારીઓ ચંપત રાય, ડો. અનિલ મિશ્રા અને ગોપાલ રાવની પૂછપરછ કરાઈ હતી. બીજી તરફ, આજે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો હતો. વકીલ અનુપ અવસ્થીએ સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી કરી હતી.

વકીલની તાત્કાલિક સુનાવણી કરવાની માંગ ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે સવાલ કરી નાખ્યો હતો કે, આટલી ઉતાવળ શાની છે ??રજાઓ પછી જ આ મામલાની સુનાવણી કરાશે.

દરમ્યાન, પોલીસ આજે સવારે 10 વાગ્યે જેલમાં બંધ આઠ આરોપીનાં ખાતાં તપાસવા એસબીઆઈની અયોધ્યાધામ શાખામાં પહોંચી હતી. મંદિરમાં નોકરી બાદ તેમનાં ખાતાંમાં કેટલા પૈસા આવ્યા, તેની તપાસ કરાશે. તમામ આઠ આરોપીને અદાલતમાં હાજર કરાયા હતા. પોલીસે રિમાંડ નહોતા માગ્યા, પછી અદાલતે બધા આરોપીને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં મોકલી દીધા હતા.

મામલાની હવે સુનાવણી 13 જુલાઈના થશે. ત્યાં સુધી બધા આરોપી જેલમાં જ રહેશે. જો કે, તે પહેલાં અયોધ્યામાં વકીલોની બેઠકમાં ફેંસલો કરાયો હતો કે, આરોપીઓના કેસ કોઈ પણ વકીલ લડશે નહીં.

એટલું જ નહીં, પરંતુ આ બેઠકમાં જ એવી માંગ કરાઈ હતી કે, ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવ અયોધ્યા છોડી દે. જો નહીં છોડે તો આંદોલનની ચેતવણી પણ અપાઈ હતી. દરમ્યાન, રામમંદિર ટ્રસ્ટની 11 જુલાઈમાં થનારી બેઠક હવે છ જુલાઈના યોજાશે. આ બેઠક મણિરામદાસજીની છાવણીનાં સ્થાને હવે કારસેવક પુરમમાં થઈ શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક