• શનિવાર, 04 મે, 2024

સુરતના જ્વેલર્સે કરેલી 1.84 કરોડની ઠગાઇમાં ASIનો ભાઇ લાંચ લેતા ઝડપાયો

મુંબઇની કંપની સાથે છેતરપિંડીના કેસમાં ASIએ માગી’તી 15 લાખની લાંચ

સુરત, તા. 24: મુંબઈની જ્વેલરી સપ્લાય કરતી કંપની સાથે થયેલી 1.84 કરોડની છેતરાપિંડીના કેસમાં એએસઆઇનો ભાઈ રૂ. પાંચ લાખની લાંચ લેતા ઝડપાયો છે.

સુરત કતારગામ વસ્તાદેવડી રોડના અપેક્ષા જ્વેલર્સના માલિક ગૌતમ શીવદાસનો વાઘ સંપર્ક કરી સસ્તી મજૂરીથી દાગીના બનાવી આપવા કહ્યું હતું. જોબવર્ક માટે દાગીના બનાવવા માટે રૂ. 1.84 કરોડનું સોનું 3 કિલો આપ્યું હતું. સુરતના જ્વલેર્સે દાગીના બનાવી નહીં આપી મુંબઈની કંપની સાથે છેતરાપિંડી કરી હતી. જેની ફરિયાદ મુંબઈ એન.એમ. જોષી માર્ગ પોલીસ સ્ટેશનમાં થઈ હતી.

આ કેસમાં સુરત ઈકોસેલ પોલીસે ગૌતમના ભાગીદારની મુંબઈથી ધરપકડ કરી હતી. તેની ઓફિસમાંથી લેપટોપ, ડીવીઆર, તેમજ કંપનીના દસ્તાવેજો અને ડાયમંડ કબજે લીધા હતા. તેમજ વોન્ટેડ આરોપી અને મુંબઈના ગુનામાં સંડોવાયેલ ગૌતમ શિવદાસ દામોદર વાઘની પણ ધરપકડ કરાઈ હતી. મુંબઈની ઓફિસમાં કબજે કરેલો માલ સામાન પરત અપાવવા ઈકો સેલના એએસઆઈ સાગર પ્રધાને રૂ. 15 લાખની લાંચની માગણી કરી હતી. જે પૈકી રૂ. 5 લાખ આપવાનું નક્કી થયું હતું. મુંબઈના જ્વેલરી કંપનીના વેપારીએ સમગ્ર ઘટનાની જાણ એન્ટી કરપ્શન બ્યુરોને કરી હતી. એસીબીએ બિછાવેલી જાળમાં લાંચ લેવા આવેલા એએસઆઈના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને સુરતમાં અગાઉથી જ જગ્યા પર ઉભેલા એસીબીના અધિકારીઓએ રૂ. 5 લાખની લાંચ લેતા ઉત્સવને રંગે હાથ પકડી પાડયો હતો. એએસઆઈ સાગરને આ મામલાની જાણ થતા ભાગી છૂટયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક