• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

અમદાવાદના બોપલમાં વકીલસાહેબ બ્રીજ નીચે છરીના ઘા ઝીંકી યુવકની હત્યા

અમદાવાદ,તા.11: અમદાવાદના બોપલ સર્કલ પાસે વકીલસાહેબ બ્રીજ નીચે એક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એપલવૂડ સોસાયટી પછળ સાઉથ બોપલમાં ભાડે ઓરડી રાખીને રહેતો મૂળ રાજસ્થાનનો રહેવાસી શિવા દિનેશ કલાસુવા (ઉ.25) મંગળવારે મોડીરાત્રે તેના મિત્રો સાથે વકિલસાહેબ બ્રીજ નીચે ખાનગી બસમાં બેઠો હતો ત્યારે  ત્રણ યુવકો ત્યાં આવ્યા હતા અને બસમાં બેઠેલા શિવાને નીચે બોલાવીને ઝઘડો કરીને ગડદા પાટુંનો માર માર્યો હતો. બાદમાં બે યુવકોએ પકડી રાખતા ત્રીજાએ છાતીમાં, પીઠ તથા શરીરના અન્ય ભાગોમાં છરીના ઘા ઝીંકતા યુવક લોહી લુહાણ હાલતમાં ઢળી પડયો હતો. નજીકની સરસ્વતી હોસ્પિટલમાં દાખલ કરાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

આ બાબતે અમદાવાદમાં મણિનગર ખાતે જ રહેતા મૃતક શિવાના મામાના દીકરા કિશન ગટૂભાઈ કલાસુવાએ સુનિલ ખોકરીયા અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ શિવાની હત્યાના આરોપ સાથેની ફરિયાદ સરખેજ પોલીસ મથકે નોંધાવી છે.

પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. શિવાની હત્યા કયા કારણોસર થઈ તે તાત્કાલિક જાણી શકાયું નથી.

બીજીતરફ શાહપુરમાં યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતા તે ગંભીર રીતે ઘવાયો હતો. ગૌતમ દાતણીયાનો પુત્ર અમર ગતરોજ ઘરે નહીં આવતા તેની શોધખોળ આદરી હતી. અમર પર અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કર્યો હોવાથી તે પાસે આવેલા ગેરેજ નજીક બેભાનાવસ્થામાં મળી આવ્યો હતો. તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક